(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

લોસ એન્જેલસમાં 98મા અકાદમી એવોર્ડ્સ સમારંભ દરમિયાન રજૂ થયેલા ‘ઇન મેમોરિયમ’ વિભાગમાં દિગ્ગજ બોલીવૂડ અભિનેતા ધર્મેન્દ્રનો ઉલ્લેખ કરાયો ન હતો. નવેમ્બર 2025માં તેમના અવસાન બાદ પણ ઓસ્કારના આ સેગમેન્ટમાં તેમને યાદ કરવામાં ન આવતા ભારતીય ફિલ્મપ્રેમીઓઓ નિરાશ થયા હતાં.

આ વર્ષે ઓસ્કાર સમારંભમાં ‘ઇન મેમોરિયમ’ વિભાગનો સમય અગાઉના વર્ષોની તુલનામાં લગભગ 15 મિનિટ વધારે રાખવામાં આવ્યો હતો. આ વિભાગમાં હોલિવૂડના જાણીતા દિગ્ગજો રોબ રાઇનર, ડાયન કીટન અને રોબર્ટ રેડફોર્ડને વિશેષ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ વિસ્તૃત સમય હોવા છતાં ધર્મેન્દ્રનું નામ મુખ્ય પ્રસારણમાં સામેલ કરવામાં આવ્યું નહોતું.

જોકે અકાદમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ (AMPAS)એ જાહેર કરેલી સત્તાવાર ઓનલાઈન યાદીમાં ધર્મેન્દ્રનો સમાવેશ કરાયો હતો. આ યાદીમાં તેમની સાથે ભારતના અન્ય પાંચ ફિલ્મ ક્ષેત્રના દિગ્ગજોના નામ પણ સમાવાયા છે. તેમાં અભિનેત્રી સરોજા દેવી, અભિનેતા મનોજ કુમાર, અભિનેત્રી જયશ્રી કબીર, દક્ષિણ ભારતીય અભિનેતા કોટા શ્રીનિવાસ રાવ તથા ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર એસ. કૃષ્ણસ્વામીનો સમાવેશ થાય છે.

આ અગાઉ 2026માં યોજાયેલા 79મા બાફ્ટા એવોર્ડ્સમાં ધર્મેન્દ્રને ‘ઇન મેમોરિયમ’ વિભાગમાં વિશેષ શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તેઓ આ સમારંભમાં આ વિભાગમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય અભિનેતા હતાં.

LEAVE A REPLY