કેલિફોર્નિયા એસોસિએશન ઓફ આયુર્વેદિક મેડિસિન દ્વારા યુસીએસએફ ઓશર સેન્ટર ફોર ઇન્ટિગ્રેટિવ હેલ્થ ખાતે “ગેટવે ફોર એવિડન્સ-બેઝ્ડ મેડિસિન ઇન આયુર્વેદ કોન્ફરન્સ’’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આધુનિક હેલ્થકેરમાં આયુર્વેદની વધતી જતી ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને ભારત તથા યુનાઇટેડ સ્ટેટ્સના નિષ્ણાતોએ પુરાવા-આધારિત સંશોધનમાં ઊંડા સહયોગ માટે હાકલ કરી હતી.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા ભારતના કોન્સેલ જનરલ ડૉ. કે. શ્રીકર રેડ્ડીએ સંકલિત હેલ્થ કેર પ્રણાલીમાં આયુર્વેદની વધતી જતી લોકપ્રિયતા પર પ્રકાશ પાડી રાષ્ટ્રીય આયુષ મિશન અને વિશ્વ આરોગ્ય સંગઠન સાથે સહયોગ જેવી પહેલ દ્વારા વૈશ્વિક સ્તરે પરંપરાગત દવાને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસો પર પણ ભાર મૂક્યો હતો.
ઓશર સેન્ટર ખાતે આયુર્વેદની સેવાઓના 20 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે યુસીએસએફના ડૉ. આનંદ ધ્રુવ અને ડૉ. સુધા પથિકાન્તી, ડૉ. રામમોહન રાવ અને ભારતીય વિદ્વાનો ડૉ. ભૂષણ પટવર્ધન અને ડૉ. ગિરીશ ટિલ્લુ સહિત અગ્રણી નિષ્ણાતોની પેનલે ચર્ચા વિચારણા કરી હતી.
વક્તાઓએ માનસિક સ્વાસ્થ્યની વિકૃતિઓ, અલ્ઝાઇમર રોગ અને કેન્સર જેવી સ્થિતિઓની સારવારમાં આયુર્વેદની વધતી જતી ભૂમિકા, પરંપરાગત અને આધુનિક તબીબી પ્રણાલીઓને વધુ સંકલિત કરવા માટે ક્લિનિકલ સંશોધનમાં ભારત-યુએસ ભાગીદારીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સેશનનું સંચાલન ડૉ. મંજુ કોલી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સર્વાંગી અને સંકલિત હેલ્થ કેર અભિગમો તરફ વધતા પરિવર્તન પર ભાર મૂકવામાં આવ્યો હતો

.














