Samples of a colorful ceramic tiles close up

મધ્યપૂર્વમાં સંઘર્ષને કારણે ઉત્પાદન પ્રક્રિયામાં માટેનો જરૂરી ગેસનો પૂરવઠો ખોરવાઈ ગયો હોવાથી ગુજરાતના મોરબીનો સિરામિક ટાઇલ ઉદ્યોગ ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ બંધ રહેશે. શહેરમાં આ ઉદ્યોગના આશરે 430 સિરામિક યુનિટ છે.

સિરામિક શહેર અને સિરામિક ટાઇલ ઉત્પાદન માટે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા હબ તરીકે જાણીતા મોરબીમાં ગેસની અછતને કારણે કુલ 670 ફેક્ટરીઓમાંથી લગભગ 450 ફેક્ટરીઓ પહેલાથી જ બંધ થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં ઘણી વધુ ફેક્ટરીઓ બંધ થવાની આરે છે. સિરામિક ઉદ્યોગ તેના સંચાલન માટે ખાસ કરીને ભઠ્ઠીઓ અને સૂકવણી પ્રક્રિયાઓ માટે પ્રોપેન અથવા કુદરતી ગેસ પર નિર્ભર હોય છે.

મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ મનોજ અરવડિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતના મોરબી ખાતે કાર્યરત સિરામિક એકમોની એક ખાસ બેઠક મંગળવારે બોલાવવામાં આવી હતી, જ્યાં લગભગ 430 એકમોના માલિકોએ ગેસ કટોકટી અને આનુષંગિક મુદ્દાઓ અંગે પરામર્શ કર્યો હતો અને સામૂહિક રીતે તેમના કારખાનાઓ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.”

તેમણે જણાવ્યું હતું કે પ્રોપેન ગેસનો ઉપયોગ કરતા સિરામિક એકમોએ પહેલા તેમનો પુરવઠો ખતમ થઈ જતાં તેમનું કામકાજ બંધ કરી દીધું હતું. બાદમાં, કુદરતી ગેસનો ઉપયોગ કરતા લોકોએ પણ પોતાનું કામકાજ બંધ કરી દીધું છે. હવે લગભગ 430 આવા એકમોએ સામૂહિક રીતે 10-15 એપ્રિલ સુધી કામ ન કરવાનો અને આ સમયગાળાનો ઉપયોગ તેમના મશીનોના જાળવણી માટે કરવાનો નિર્ણય લીધો છે. તેઓ ગેસના નવા પુરવઠાની ઉપલબ્ધતાને આધીન મળીને કામગીરી શરૂ કરશે

મોરબીમાં 600થી વધુ ઔદ્યોગિક એકમો છે, જે સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરે છે. આ એકમો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 4 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે