અમદાવાદની કરૂણ વિમાન દુર્ધટનામાં મોતને ભેટેલા રાજસ્થાનના બાંસવાડાનાં ડૉ. પ્રતીક જોશી અને તેમના પરિવારની કથા હૈયુ હચમચાવી દે તેવી છે. જેમાં પ્રતીક જોશી, ડૉ. કોમી વ્યાસ (ઉ.વ. ૩૯), તેમના ત્રણ બાળકો – જોડિયા પુત્રો નકુલ અને પ્રદ્યુત (ઉ.વ. ૫) અને પુત્રી મીરાયા (ઉ.વ. ૮)ના કરૂણ મોત નિપજ્યાં છે.
જોશી પરિવારના પ્રતીકભાઇ છેલ્લાં 2021થી રોયલ ડર્બી હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે સેવા આપતા હતા. જ્યારે ડૉ. કોમી વ્યાસે ઉદયપુરની પેસિફિક હોસ્પિટલમાંમાં પેથોલોજિસ્ટ તરીકે સેવા આપતા હતા. તેઓ પત્ની અને ત્રણ સંતાનો સાથે હંમેશ માટે યુકે જઈ રહ્યા હતા. પરંતુ ઘણાં વર્ષોથી પરિવાર સહિત લંડનમાં સ્થાયી થવાનું તેમનું સપનું થોડી જ ક્ષણોમાં રોળાઈ ગયું હતું
ડૉ. કોમીએ ફ્લાઇટે ઉડાન ભરી તેના થોડા સમય પહેલા જ પોતાના ભાઈ પ્રબુધને તેમનો પાંચેયનો સેલ્ફી ફોટો મોકલ્યો હતો જે આખા વિશ્વમાં એરેરાટી ફેલાવી રહ્યો છે.
ડર્બી હિન્દુ મંદિરે તેના ફેસબુક પેજ પર પરિવારને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે “ડૉ. જોશી અમારા મંદિરના ભક્ત હતા અને તેમની નિષ્ઠાવાન સેવા અને સમર્પણ દ્વારા અમને ટેકો આપતા હતા.”
ડૉ. પ્રતીક જોશીના પિતા, ડૉ. જેપી જોશીએ જણાવ્યું હતું કે ‘’પ્રતિક પોતાનો પરિવાર સાથે રહી શકે તે માટે સૌને લેવા ભારત આવ્યો હતો. તે ઘણીવાર બાળકો અને પત્નીને મળવા આવતો. તે ક્યારેય સીધી ફ્લાઇટ લેતો નહોતો પરંતુ આ વખતે પત્ની અને બાળકોની સરળતા માટે અમદાવાદથી ગેટવીકની ડાયરેક્ટ ફ્લાઇટ લીધી હતી. ડૉ. કોમીએ યુકે જવા નોકરી છોડી દીધી હતી. અમે તેમને એરપોર્ટ પર છોડવા ગયા ત્યારે તેમણે મને કહ્યું હતું કે પપ્પા, તમે પણ લંડનમાં મારી સાથે રહેવા આવવાની તૈયારી કરો. મેં તેમને કહ્યું હતું કે પહેલા તમે સ્થાયી થાઓ, પછી હું આવીશ. બન્ને પૌત્રો લંડન જવા માટે ખૂબ ખુશ હતા અને આખી રાત મારી સાથે નવી ખરીદેલી સ્કૂલ બેગ સાથે સૂઇ રહ્યા હતા. તેમને યુકેમાં ભણવાનો ખૂબ જ ઉમળકો હતો.”
ડૉ. કોમી જોશીના પિતા, ડૉ. અનિલ વ્યાસે કહ્યું હતું કે “મેં તેમનું વિમાન રનવે પર હતું ત્યારે તેમની સાથે છેલ્લી વાર બપોરે 1:32 વાગ્યે વિડિઓ કોલ પર વાત કરી હતી. કોમી માતા સાથે વાત કરવા માંગતી હતી. પરંતુ તે ઓપરેશન થિયેટરમાં હોવાથી, મેં કોમીને કહ્યું હતું કે ડર્બી પહોંચ્યા પછી તેની માતા સાથે વાત કરે. પરંતુ મને ફક્ત 15 મિનિટ પછી લોકો તરફથી લોકોના ફોન આવવા લાગ્યા હતા કે તેઓ કયા વિમાનમાં છે. મારી સાથે છેલ્લી વાત થયાના બે થી ત્રણ મિનિટ પછી જ આ દુર્ઘટના બની હતી.”
