
બ્રિટનના મહારાજા ચાર્લ્સ ત્રીજાએ શનિવારે અમદાવાદ-લંડન એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. આ માટે તેમના વાર્ષિક ટ્રૂપિંગ ધ કલર જન્મદિવસની પરેડમાં છેલ્લી ઘડીએ સુધારા કરાયા હતા અને પીડિતોની યાદમાં રાજવી પરિવારના તમામ સભ્યો, પ્રોસેશનમાં સવાર અધિકારીઓ અને મ્યુઝ સ્ટાફે હાથ પર કાળા રંગના પટ્ટા બાંધ્યા હતા.
શુક્રવારે તમામ શાહી નિવાસસ્થાનો અને સરકારી ઇમારતો પર યુકેના ધ્વજને આદરના ચિહ્ન તરીકે અડધી કાઠીએ લહેરાવાયો હતો.
બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે 76 વર્ષીય મહારાજા “આ ભયાનક દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા જીવ ગુમાવનારાઓ અને શોકમાં રહેલા પરિવારો તથા તમામ સમુદાયો પ્રત્યે આદર દર્શાવના ઇચ્છે છે.’’
પરેડના નિરીક્ષણ પછી કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા ગાડીમાંથી બહાર નીકળીને ધ પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટન સાથે મંચ પર જોડાયા પછી એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
આ અગાઉ સમર્થન સંદેશમાં કિંગ ચાર્લ્સે કહ્યું હતું કે તેઓ અને ક્વીન કેમિલા “અમદાવાદમાં બનેલી ભયાનક ઘટનાથી ખૂબ જ આઘાત પામ્યા હતા. આ ભયાનક દુ:ખદ ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોના પરિવારો અને મિત્રો સાથે અમારી ખાસ પ્રાર્થના અને ઊંડી સંવેદના છે. હું ઇમરજન્સી સેવાઓના પરાક્રમી પ્રયાસો અને આ સૌથી હૃદયદ્રાવક અને આઘાતજનક સમયે મદદ અને સમર્થન આપનારા તમામ લોકોને ખાસ શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું.”
