લંડનમાં બાર્બિકન સેન્ટર ખાતે યોજાયેલા દ્વિતિય વોઈસીસ ઓફ ફેઈથ ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે તા. 13ના રોજ વિદ્વત પ્રવચન આપતા યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ચેતવણી આપી હતી કે આધુનિક વિશ્વની જ્ઞાન અને ટેકનોલોજીકલ પ્રગતિની અવિરત શોધ સદીઓથી ચાલી આવતી ધાર્મિક અને દાર્શનિક પરંપરાઓમાં રહેલા ઊંડા જ્ઞાનને અવગણવાનું જોખમ ધરાવે છે.
કામિની અને વિંડી બંગા ફેમિલી ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા જયપુર લીટરેચર ફેસ્ટીવલના નિર્માતાઓના સહયોગથી ત્રણ દિવસીય ઉત્સવમાં વિદ્વાનો, ધાર્મિક નેતાઓ અને જાહેર હસ્તીઓ એકસાથે આવ્યા હતા.


દોરાઈસ્વામીએ શ્રોતાઓને “પ્રાચીન બુદ્ધિ” પર ચિંતન કરવા, જે માનવતાને માર્ગદર્શન આપતી શ્રદ્ધા અઘારિત પરંપરાઓના સંચિત શાણપણ પર ચિંતન કરવા વિનંતી કરી હતી. તેમણે પૂછ્યું હતું કે “આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ અને તેની આસપાસના તમામ પ્રવચનોના યુગમાં, શું આપણે AI નું બીજું સ્વરૂપ વિચારવું જોઈએ, જેમ કે આપણી પ્રાચીન બુદ્ધિ? જ્યારે આધુનિક સમાજો વધુને વધુ ટેક્નોલોજીકલ ઇનોવેશનની ઉજવણી કરે છે, ત્યારે તેઓ ક્યારેક એ વિચારવામાં નિષ્ફળ જાય છે કે નવી ક્ષમતાઓ ખરેખર માનવ સમજણને વધુ ગાઢ બનાવે છે કે નહીં.’’
વિક્ટોરિયન કવિ આલ્ફ્રેડ લોર્ડ ટેનીસનને ટાંકીને, દોરાઈસ્વામીએ નોંધ્યું હતું કે “જ્ઞાન આવે છે, પરંતુ શાણપણ ટકી રહે છે. શ્રદ્ધા પરંપરાઓ ઘણીવાર એવા દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે જે તાત્કાલિક ચિંતાઓથી આગળ વ્યાપક ઐતિહાસિક અને માનવ સંદર્ભો સુધી વિસ્તરે છે. સમાજમાં ઘણા વિભાગો સુપરફિસિયલ તફાવતોમાં મૂળ ધરાવે છે. આપણા ડીએનએનો 99.9 ટકા ભાગ સમાન છે, અને છતાં તે ખૂબ જ રક્તપાતનું કારણ રહ્યું છે. ધાર્મિક ઓળખ ઘણીવાર સભાનપણે પસંદ કરવાને બદલે વારસામાં મળે છે.’’
પ્રેઝન્ટર અને લેખક મિશેલ હુસૈને ધર્મો વચ્ચેના સંવાદના મહત્વ પર પ્રતિબિંબિત કરી તેમના સંસ્મરણ “બ્રોકન થ્રેડ્સ”ની વાર્તાઓનો ઉપયોગ કરીને ભારતના ભાગલા દરમિયાન તેમના પરિવારના કૌટુંબિક અનુભવોનું વર્ણન કર્યું હતું. તો વ્યાપક હિંસા અને વિસ્થાપનના સમય દરમિયાન ધાર્મિક વિભાજનને પાર કરતી ઉદારતાના કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બ્રિટન અને સાઉથ એશિયા વચ્ચેના લાંબા અને જટિલ સંબંધો પર પ્રકાશ પાડી 1892માં બ્રિટિશ સંસદમાં દાદાભાઈ નવરોજીની ચૂંટણી જીતનો ઉલ્લેખ કર્યો હતો.
આ ઉત્સવમાં પ્રેઝન્ટર ટ્રેવર ફિલિપ્સે તેમના ઉછેરમાં શ્રદ્ધાના પ્રભાવ પર પ્રતિબિંબ પાડ્યો હતો અને શ્રદ્ધાને રહસ્ય અને અર્થની શોધ તરીકે વર્ણવી કહ્યું હતું કે વિજ્ઞાને તેમને શંકાનું મૂલ્ય શીખવ્યું હતું, જ્યારે શ્રદ્ધાએ નમ્રતા અને આશાને પ્રોત્સાહન આપ્યું હતું.
ઉત્સવના સહ-સ્થાપક કામિની બંગાએ જણાવ્યું હતું કે ‘’આ પહેલ પરંપરાઓ વચ્ચે પુલ બનાવવા અને ઝડપથી બદલાતી દુનિયામાં શ્રદ્ધા વિશે ઊંડી વાતચીતને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. તે એક સહયોગી પ્રયાસ છે – આપણે તે એકલા કરી શકતા નથી.”
કાર્યક્રમમાં અગ્રણી વક્તાઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પબ્લિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સાયન્સના પ્રોફેસર માર્કસ ડુ સોટોય; ઓક્સફર્ડ યુનિવર્સિટી અને યુસીએલના સાયન્સ ડિરેક્ટર રોજર હાઇફિલ્ડ ઓબીઇ; ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ, ભારતીય સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રોહિન્ટન એફ નરીમન; શીખ વિદ્વાન અને લેખક નિક્કી-ગુનિંદર કૌર સિંહ; ચિશ્તી ફાઉન્ડેશનના ચેરમેન અને અજમેર શરીફના વારસાગત રખેવાળ હાજી સૈયદ સલમાન ચિશ્તી; ગ્રેટ બ્રિટનના રબ્બીનિક કોર્ટના લેખક અને સંયોજક રબ્બી જોનાથન રોમેન એમબીઇ; સાઉથ એશિયન ધર્મ અને સાહિત્યના વિદ્વાન ફિલિપ લુટગેનડોર્ફે પ્રવચન અપ્યા હતા. ત્રણ દિવસીય કાર્યક્રમ ગયા રવિવારે (15) સમાપ્ત થયો હતો.














