વૃંદાવનમાં હોળીની ઉજવણીમાં REUTERS/Sahiba Chawdhary

આ વર્ષે હોળી-ધૂળેટીના તહેવાર અને રમઝાનમાં શુક્રવારની નમાઝ એકસાથે આવતા હોવાથી ઉત્તરપ્રદેશ અને બિહાર સહિતની દેશભરની રાજ્ય રાજ્ય સરકારો સતર્ક બની હતી અને કોઇ કોમી તંગદિલી ન ફેલાય તે માટે સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. કેટલાંક રાજકીય નેતાઓના વિવાદસ્પદ નિવેદનો પગલે યુપી સરકારે ધાર્મિક વડાઓ સાથે મંત્રણા કરીને આ તહેવારની શાંતિપૂર્ણપૂર્ણ રીતે ઉજવણી થાય તેવા પગલાં લીધા હતાં. યુપીમાં અયોધ્યા, કનૌજ સહિતના જિલ્લાની તમામ મસ્જિદોમાં શુક્રવારની નમાઝ બપોરે બે વાગ્યા પછી અદા કરાશે.

અયોધ્યાના મુખ્ય મૌલવી મોહમ્મદ હનીફે બુધવારે જણાવ્યું હતું કે ૧૪ માર્ચે હોળીની ઉજવણી સાથે શુક્રવારની નમાઝ હોવાથી ઘણી જગ્યાએ અધિકારીઓ દ્વારા નમાઝના સમય અંગે ચર્ચાવિચારણા કરાઈ હતી. મે મુસ્લિમ સમુદાયના તમામ સભ્યોને ધીરજ અને ઉદારતા રાખવા વિનંતી કરી છે. જો કોઈ તેમના પર રંગ લગાવે છે, તો તેમણે સ્મિત સાથે ‘હોળી મુબારક’ કહેવું જોઈએ.

અયોધ્યા જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) ચંદ્ર વિજય સિંહે જણાવ્યું હતું કે હોળી માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. કોઈપણ સાંપ્રદાયિક તણાવ ટાળવા માટે શાંતિ સમિતિની બેઠકો પણ યોજાઈ રહી છે. તમામ હોલિકા દહન સ્થળોએ વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલ રૂમની સ્થાપના કરાઈ છે.

/* */

લખનૌ ઈદગાહના ઈમામે મસ્જિદોને તે દિવસે બપોરે 2 વાગ્યે જુમાની નમાઝ પઢવા જણાવ્યું હતું. તેમણે મુસ્લિમોને દૂરની મસ્જિદમાં જવાને બદલે નજીકની મસ્જિદમાં નમાઝ પઢવાની સલાહ પણ આપી હતી. સંભલમાં હિન્દુઓ 14 માર્ચે બપોરે 2.30 વાગ્યા સુધી હોળીની ઉજવણી કરશે અને મુસ્લિમો બપોરે 2.30 વાગ્યા પછી નમાઝ અદા કરશે.

શાહજહાંપુરની ‘લાટ સાહેબ’ હોળીને પગલે મસ્જિદોને તાડપત્રીથી ઢાકી દેવાઈ હતી અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. પોલીસે 2,423 લોકો સામે અગાઉથી કાર્યવાહી કરી હતી. બિહારના દરભંગાના મેયરે મુસ્લિમો નમાઝ અદા કરી શકે તે માટે હોળી ઉજવણીમાં બે કલાકનો વિરામ રાખવાનો અનુરોધ કરતાં વિવાદ ઊભો થયો હતો.