પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ સામે પ્રતિબંધ મૂકવા માંગણી કરતી એક જાહેર હિતની અરજીને મંગળવારે ફગાવી દઇને ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે લાઉડસ્પીકર પર 10 મિનિટ માટે અઝાન ચાલે તેને ધ્વનિ પ્રદૂષણ ગણી શકાય નહીં.

ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિએ કોર્ટમાં આ PIL દાખલ કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી. ડો. ધર્મેન્દ્ર પ્રજાપતિની હોસ્પિટલ નજીક એક મસ્જિદ છે, જેમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને દિવસમાં પાંચ વખત અઝાન કરવામાં આવતી હોવાથી ડોક્ટરે વાંધો ઉઠાવ્યો હતો. તેમની દલીલ હતી કે લાઉડ સ્પીકરના અવાજના કારણે તેમના દર્દીઓને તકલીફ પડતી હતી.

પરંતુ કોર્ટ તેમની દલીલ સાથે સહમત નથી થઈ. હાઈકોર્ટે કહ્યું કે અઝાન 10 મિનિટની અંદર પૂરી થઈ જાય છે તેથી તેમાં લાઉડસ્પીકરનો ઉપયોગ થાય તેને ઘોંઘાટ ગણી ન શકાય. છતાં અરજકર્તા ઈચ્છે તો રાજ્ય સરકારના સત્તાવાળા સમક્ષ જઈ શકે છે.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે અરજકર્તા ઈચ્છે તો રાજ્ય સરકારના સત્તાવાળા સમક્ષ જઈ શકે છે. તેમને યોગ્ય લાગશે તો લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરાવશે. તેના જવાબમાં અરજદાર તરફથી એમ કહેવામાં આવ્યું કે તેમણે પોલીસ સહિત સરકારના જુદાજુદા વિભાગોમાં ફરિયાદ કરી છે, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. તેથી તેમણે નાછુટકે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવી પડી છે. જોકે, હાઈકોર્ટે તેમને યોગ્ય ઓથોરિટી પાસે જ રજુઆત કરવા માટે જણાવ્યું હતું.

LEAVE A REPLY

18 − one =