પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના સુરત શહેરમાં મંગળવાર, 31 માર્ચની સવારે ત્રણ માળના મકાનમાં આગ લાગવાથી ચાર મહિલાઓ અને એક બાળકનું મોત થયું હતું. આ દુર્ઘટના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મીઠી ખાડી વિસ્તારમાં સવારે 10 વાગ્યે બની હતી. પરિવાર ફોમ શીટનો ઉપયોગ કરીને સાડીઓ પેક કરવામાં વ્યસ્ત હતો ત્યારે આગ લાગી હતી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) કાનન દેસાઈએ જણાવ્યું હતું કે આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ મકાનમાં સાડી પેકિંગની કામગીરી કરવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આગ ઇલેક્ટ્રિક સ્પાર્કથી લાગી હશે. ઝેરી ધુમાડાને કારણે ગુંગળામણથી પીડિતોના મોત થયા હતાં.

અધિકારીએ જણાવ્યું કે પીડિતોની ઓળખ શહેનાઝ બેગમ અંસારી (65), હુસા બેગમ અંસારી (18), શબીના અંસારી (28), પરવીન અબ્દુલ અંસારી (19) અને સુભાન અલી અંસારી (4) તરીકે થઈ હતી. પીડિતો ઉત્તરપ્રદેશથી સુરત આવ્યા હતાં અને સાડી પેકિંગના કામમાં રોકાયેલા હતા. પ્રત્યક્ષદર્શી યુનુસ ખાને દાવો કર્યો હતો કે ખૂબ જ જ્વલનશીલ પદાર્થોની હાજરીને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.