વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં વસ્તી ગણતરી 2026નો પ્રથમ તબક્કાનો પહેલી એપ્રિલથી પ્રારંભ થશે. 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી આવાસની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ અને ઘરેલું સંપતિઓ જેવી માહિતી મેળવવામાં આવશે. આ દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે.
આ દેશની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી હશે. દિલ્હીમાં મીડિયાને સંબોધન કરતાં રજિસ્ટાર જનલ અને વસ્તી ગણતરી કમિશનર મૃત્યુજય કુમાર નારાયણે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં મકાન ગણતરી અને સ્વગણતરીનો સમાવેશ થાય છે. આ વર્ષે 1 એપ્રિલથી 31 ઓગસ્ટ દરમિયાન 15 દિવસના સમયગાળા દરમિયાન સ્વ-ગણતરી સુવિધા માટે એક વિશેષ પોર્ટલ જારી કરાશે. સ્વ-ગણતરી પોર્ટલ 16 ભાષાઓમાં ઉપલબ્ધ હશે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રથમ તબક્કા માટેના પ્રશ્નો પહેલાથી જ જાહેર કરાયા છે.
વસ્તી ગણતરી ૨૦૨૭માં ૩૬ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો, ૭૮૪ જિલ્લા, ૫૧૨૭ શહેર અને ૬૩૯૯૦૨ ગામોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર)ના અપડેશન અંગે અત્યાર સુધી કોઇ નિર્ણય નહી લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું હતું.












