અમદાવાદમાં થયેલા જીવલેણ વિમાન દુર્ઘટનાના એક દિવસ પછી શુક્રવારે ઓળખ બાદ છ મૃતકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતાં. આંશિક રીતે અથવા સંપૂર્ણપણે બળી ગયેલા મૃતદેહો તેમના ડીએનએ નમૂનાઓ સાથે મેચ કરવાની કવાયત પૂર્ણ કરવામાં લગભગ 72 કલાક લાગશે.
પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઇએ જણાવ્યું હતું કે ગુરુવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલા 265 મૃતદેહોમાંથી છ મૃતકોના ચહેરા અકબંધ હોવાથી તેમની ઓળખ થઈ ગઈ છે.અન્ય લોકોની ઓળખ માટે ડીએનએ પ્રોફાઇલિંગ ચાલુ છે કારણ કે તેમના મૃતદેહ ઓળખી ન શકાય તે રીતે બળી ગયા છે.અમે છ મૃતદેહો સંબંધીઓને સોંપી દીધા છે. ઓળખી ન શકાય તેટલી હદે બળી ગયેલા મૃતદેહોની ઓળખ કરવા માટે પ્રોફાઇલિંગ માટે અમે સંબંધીઓના ડીએનએ નમૂના એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
૨૧૫ મૃતકોના સંબંધીઓએ તેમના સેમ્પલ આપવા માટે અમારો સંપર્ક કર્યો છે. પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચેલા સંબંધીઓ પાસેથી વિગતો એકત્રિત કરવામાં આવે છે, અને ત્યારબાદ સંબંધીઓને તેમના ડીએનએ નમૂના આપવા માટે બીજે મેડિકલ કોલેજ મોકલવામાં આવે છે. ડીએનએ નમૂનાઓનું મેચિંગ પૂર્ણ કરવામાં લગભગ 72 કલાક લાગશે. એકવાર મેચ થઈ ગયા પછી, મૃતદેહો પોસ્ટમોર્ટમ રૂમમાંથી સંબંધીઓને સોંપવામાં આવશે.
