એર ઇન્ડિયાની અમદાવાદથી લંડનની બોઇંગ 787-8 ફ્લાઇટ 12 જૂનના રોજ ટેઇકઓફ થયા પછી થોડીક સેકન્ડોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (AAIB)એ આ અકસ્માત અંગે તપાસ કરીને તેનો પ્રાથમિક રીપોર્ટ જાહેર કર્યો છે. તેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા પણ થયા છે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ, ઉડાન ભર્યા પછી બંને એન્જિન અચાનક બંધ થવાના કારણે વિમાનને પાવર મળી શક્યો નહીં અને તે તૂટી પડ્યું હતું. આ રીપોર્ટ મુજબ, વિમાન યોગ્ય રીતે ટેઇક ઓફ થયું હતું. આ પછી બધું સામાન્ય હતું અને તે જરૂરી ઊંચાઈએ પણ પહોંચી ગયું, પરંતુ પછી બંને એન્જિનની ફ્યુઅલ કટઓફ સ્વીચ ‘રન’ થી ‘કટઓફ’ થઈ ગઇ હતી. એટલે કે એન્જિનને પેટ્રોલ મળવાનું બંધ થઈ ગયું. જ્યારે પેટ્રોલ એન્જિન સુધી પહોંચ્યું નહીં, ત્યારે તેને પાવર મળવાનું બંધ થઈ ગયું અને ફ્લાઇટ તૂટી પડી હતી.
આ રીપોર્ટમાં ફ્લાઇટના બંને પાઇલટ્સ, સુમિત સભરવાલ અને કો-પાઇલટ ક્લાઇવ કુંદર વચ્ચેની વાતચીતનો પણ ખુલાસો થયો. એન્જિન કેમ બંધ થયું, આ સૌથી મોટો પ્રશ્ન છે. કોકપીટ રેકોર્ડિંગથી પાઇલટની વાતચીતનો ખુલાસો થયો હતો. જેમાં પહેલા પાઇલટે પૂછ્યું હતું કે, તમે સ્વીચ કેમ બંધ કરી? તો બીજા પાઇલટે જણાવ્યું હતું કે, મેં નથી કરી.
આથી કોઈ પાઇલટે જાણી જોઈને એન્જિન બંધ કર્યું નથી. રીપોર્ટ દર્શાવે છે કે, આ ટેકનિકલ ખામી હોઈ શકે છે. જોકે, માનવ ભૂલની પણ શક્યતા છે. વિમાન દુર્ઘટનાની વિગતવાર તપાસ હજુ પણ થઇ રહી છે. બંને એન્જિન આપમેળે કેવી રીતે બંધ થઈ ગયા તેની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. એન્જિન બંધ થયા પછી, રેમ એર ટર્બાઇન (RAT) બહાર આવ્યું, જે દર્શાવે છે કે વિમાનને ઇમરજન્સી પાવરની જરૂર હતી. એન્જિન શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે ખૂબ મોડું થઈ ગયું હતું. વિમાન ઊંચાઈ મેળવી શક્યું નહીં અને ક્રેશ થયું હતું.
