(Photo credit should read STRDEL/AFP via Getty Images)

કહેવાય છે કે, ‘કોઈ પણ બાબત-ચીજ માટે ક્યારેય મોડું નથી હોતું’, આ વિચારને ઉજાગર કરતી ફિલ્મ ‘ફરી એક વાર’ તાજેતરમાં રીલીઝ થઈ છે. આ ફિલ્મનો સૌથી કેન્દ્રીય વિચાર એ છે કે નવી શરૂઆત જીવનના કોઈ પણ પડાવ પર શરૂ કરી શકાય. ઉંમર, સંજોગ કે જવાબદારીનાં પરિબળો વચ્ચે પણ માનવીનું હૃદય પ્રેમ, સાથ અને હૂંફની શોધમાં હોય છે. સમાજના અભિપ્રાયથી વધારે અંતરના આનંદનું મહત્વ વધારે હોય છે.

આ ફિલ્મનું દિગ્દર્શન અખિલ કોટકે કર્યું છે. ફિલ્મના કેન્દ્રિય વિચારને સહજ રીતે દર્શાવવામાં આવ્યો છે, સમાજમાં યુવાન-યુવતીઓ જ નહીં, પરંતુ વડીલો પણ એકલવાયું જીવન જીવે છે. વાર્તાના હાર્દમાં છે કુસુમબહેન (સુપ્રિયા પાઠક). તેઓ ફરીથી સંસાર શરૂ કરવા ઇચ્છુક યુવાન-વડીલો માટે ‘હેપિલી એવર આફ્ટર મેરેજ બ્યુરો’નું સંચાલન કરે છે. એમની યુવાનીમાં કંઇક એવું બન્યું હતું કે, તેમના લગ્ન તૂટી ગયાં હતા. તેમની પુત્રી ખુશી (નેત્રી ત્રિવેદી)ને એકલા હાથે ઊછેરી છે. તો ઋષિકેશ (ટીકુ તલસાણિયા) નિવૃત્ત બિઝનેસમેન છે, વિધુર પણ છે. એમના જીવનનો એક જ ઉદેશ્ય છે કે, એક સગાઈ અને એક લગ્ન તૂટ્યા પછી પોતાની પુત્રી લાવણ્યા (અવનિ મોદી)ને ખુશ રાખે એવો સરસ છોકરો મળે. પિતા-પુત્રી કુસુમબહેનના મેરેજ બ્યૂરોમાં નામ નોંધાવવા જાય છે, કુસુમબહેનને મળીને ઋષિકેશભાઇમાં પણ પરિવર્તન આવે છે. કેટલીક જડ માન્યતાઓ તૂટી જાય છે. આ દરમિયાન લાવણ્યાને અર્જુન (ઉત્સવ નાયક) નામક યુવક પસંદ પડે છે. હવે આગળની સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.

આ ફિલ્મ અંગે દિગ્દર્શક અખિલ કોટક જણાવે છે કે, ‘ફિલ્મનો કેન્દ્રિય વિષય પુનર્લગ્નનો છે. આપણે ગમે તેટલા આધુનિક થઈએ, પણ બીજીવારના લગ્નને સમાજમાં હજુ પણ સ્વીકાર્ય નથી, તે અંગે પૂર્વગ્રહો છે. પ્રેમ, સંગાથ અને સુખનો અવસર ઉંમર, સંજોગ કે સમાજે ચોંટાડેલાં લેબલ પર આધાર રાખતાં નથી. સાઇંઠની ઉંમર પાર કર્યા પછી જીવનમાં ખાલીપો વર્તાતો હોય ત્યારે જીવનમાં એક સાથીની સૌથી વધારે જરૂર હોય છે. એવો લાઈફ પાર્ટનર જેની સાથે બેસીને વાતો કરી શકાય, સુખ-દુઃખ વહેંચી શકાય. અને પ્રેમ કે સંગાથ માત્ર યુવાની સુધી જ સીમિત નથી.’

જ્યારે પીઢ કલાકાર ટીકુ તલસાણિયાએ કહ્યું હતું કે, ‘મને આ ફિલ્મમાં લાગણી નીતરતી કથા-પટકથા અને મારું પાત્ર ગમી ગયાં. ગુજરાતમાં સળંગ શિડ્યુઅલમાં ફિલ્મ શૂટ કરી, સૌ સાથે રહ્યાં. આ અનુભવ યાદગાર રહ્યો. સેટ્સ પર સૌ સાથે મળીને સીનની ચર્ચા કરતાં… અમે બધાં ફિલ્મમાં ઓતપ્રોત થઈ ગયાં હતાં. ગુજરાતી ચિત્રસૃષ્ટિનો આ સરસ સમય છે, સારું કામ થઈ રહ્યું છે, નવા નવા વિષયો પર વાર્તાઓ લખાય છે, નવા પ્રતિભાશાળી સર્જકો, કલાકારો આવી રહ્યા છે, પ્રેક્ષકો વેગળા વિષયોને વધાવી રહ્યા છે.’

સુપ્રીયા પાઠક કહે છે કે, ‘મને સેકન્ડ મેરેજના બ્યુરોવાળી વાત ગમી ગઈ. અસામાન્ય કહેવાય એવો વિષય છે છતાં સરળ, સ્વીટ સ્ટોરી છે. જાણે કોઈનો જીવનવૃત્તાંત વાંચી રહ્યાં હોઈએ એવું લાગે. કંઈકેટલી લાગણીઓ ધરબીને બેઠેલી કુસુમનું મારું પાત્ર ગમી ગયું.’ એ કહે છે કે ‘હું અને ટીકુભાઈ આટલાં વર્ષોથી કામ કરી રહ્યાં છીએ, પણ સાથે આવવાની તક આ પહેલી વાર મળી. અખિલ કોટકે નાજુક વિષયની માવજત સરસ કરી છે. એ સારા દિગ્દર્શક તો છે, વ્યક્તિ પણ મજાની છે.’
ફિલ્મનાં કથા-પટકથા-સંવાદ કાજલ મહેતાએ લખ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં સાબરમતી નદીમાં વહેતી અક્ષર રિવર ક્રૂઝમાં થયું હતું.

LEAVE A REPLY