અમદાવાદ-ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનની દૈનિક મુસાફરીમાં 3 વર્ષમાં ચાર ગણી વૃદ્ધિ નોંધાઇ છે અને રોજિંદા મુસાફરોની સંખ્યા 35 હજારથી દોઢ લાખ સુધી પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 11મી જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 માં ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે.
પ્રવાસીઓને હવે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી મેટ્રો દ્વારા સરળતાથી પહોંચી શકાશે. મેટ્રો નેટવર્કના આ વિસ્તરણને કારણે હજારો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને મોટો ફાયદો થશે. ખાસ કરીને, મહાત્મા મંદિરમાં આયોજિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં આવતા મહેમાનો તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવાના કારણે છેલ્લા 3 વર્ષોમાં મુસાફરોને સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહનનો અનુભવ મળ્યો છે. ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 11.50 કરોડથી વધુ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી છે.
વર્ષ 2023 દરમિયાન દર મહિને સરેરાશ 12થી 27 લાખ મુસાફરોએ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. આ સંખ્યા 2024માં વધીને માસિક અંદાજે 27થી 35 લાખ નોંધાઈ હતી. વર્ષ 2025માં આ આંકડામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને જુલાઈ અને સપ્ટેમ્બરમાં માસિક 44 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો હતો.
મેટ્રો ફેઝ-2 પૂર્ણ થતાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિકસિત 68 કિમીનું મેટ્રો નેટવર્ક હવે 53 સ્ટેશનોને આવરી લેશે. મહાત્મા મંદિર સુધી મેટ્રો સેવા શરૂ થવાથી ખાનગી વાહનો પરની નિર્ભરતા ઘટશે, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે અને મુસાફરોને કિફાયતી તેમજ પર્યાવરણને અનુકૂળ મુસાફરીનો વિકલ્પ મળશે.

LEAVE A REPLY