યુકે સરકારે ગયા વર્ષે તબક્કાવાર શરૂ કરેલી નવી ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ – ઇ-વીઝા સિસ્ટમ યુકેમાં તા. 25ને બુધવારથી અમલી બનાવતા હવે ભારત સહિત અન્ય દેશોના ટૂરીસ્ટ્સે યુકેમાં પ્રવેશવા ફરજિયાત ઇ-વીઝા મેળવવાના રહેશે. જ્યારે જેમને યુકેમાં પ્રવાસ કરવા માટે વીઝાની જરૂર નથી તેવા દેશોના લોકોએ ફરજિયાત ઇલેકટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) કરાવવું પડશે. આ નવા નિયમો હેઠળ જરૂરી પ્રવાસ દસ્તાવેજો નહિં હોય તેમને એરલાઇન્સ વિમાનમાં બેસતાં અટકાવી શકશે.
તત્કાળ અમલી થનાર આ ફેરફાર અનુસાર પાસપોર્ટ પર લગાવાતા વીઝા સ્ટિકર્સનું સ્થાન ઇ-વીઝા લેશે. જો કે, નવી સિસ્ટમમાં બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજદારે જાતે જ વિઝા એપ્લિકેશન સેન્ટરમાં જવું પડશે. જો કે લોકોએ હવે પ્રોસેસિંગ માટે પોતાના પાસપોર્ટ વિઝા સેન્ટર્સમાં આપવા પડશે નહિ. EU સેટલમેન્ટ સ્કીમ સ્ટેટસ ધરાવતા લોકો સહિત, બધા ઇ-વિઝાધારકોએ મુસાફરીમાં વિક્ષેપ ટાળવા માટે તેમના UKVI એકાઉન્ટને તેમના સૌથી તાજેતરના પાસપોર્ટ વિગતો સાથે અદ્યતન રાખવાની જરૂર છે.
યુકેના મિનિસ્ટર્ર ફોર માઇગ્રેશન એન્ડ સીટીઝનશીપ માઇક ટેપે જણાવ્યું હતું કે ‘’યુકેમાં પ્રવાસ કરવા માંગતા દરેક વ્યક્તિને હું તેમનો પ્રવાસ સરળ નીવડે તે માટે યોગ્ય પરમિશન લેવાની વિનંતી કરૂ છું. યુકેની સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા અને પ્રવાસીઓ તથા બિટિશ પ્રજાને આધુનિક અને બહેતર સેવા પુરી પાડવા ઇટીએ સ્કીમ મહત્વની છે. આવી જ સેવા માટે યુએસ 40 ડોલર્સ અને યુરોપિયન યુનિયન આવી ભાવિ સેવા માટે 20 યુરો વસૂલશે તેની સરખામણીમાં યુકેની આ સેવા કિફાયતી છે. ‘’
યુકે બોર્ડર એન્ડ માઇગ્રેશન વિભાગ સમગ્ર સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવાની યોજના ધરાવે છે જે અંતર્ગત લોકોએ ફિઝિકલ બાયોમેટ્રિક રેસિડેન્સ પરમીટ (બીઆરપી), વીઝા સ્ટિકર્સ કે સ્ટેમ્પ ધરાવતો પાસપોર્ટ કે બાયોમેટ્રિક રેસિડેન્સ કાર્ડને હવે સમગ્રપણે ઓનલાઇન યુકે વીઝા એન્ડ ઇમિગ્રેશન સિસ્ટમ પર લઇ જવામાં આવ્યા છે. કાગળના દસ્તાવેજોને વર્ષો સુધી તબક્કાવાર દૂર કરી તેને સ્થાને ઇ-વીઝા અમલમાં મુકવામાં આવ્યા છે. આજની તારીખમાં 10 મિલિયનથી વધુ ઇ-વિઝા જારી કરવામાં આવ્યા છે.
આ “ઇ – વિઝા ખોવાઈ શકાતો નથી, ચોરાઈ શકતો નથી અથવા તેની સાથે ચેડાં કરી શકાતા નથી, અને તે વિઝા ધારકોને તેમના ઇમિગ્રેશન અધિકારોને તાત્કાલિક અને સુરક્ષિત રીતે સાબિત કરવાની મંજૂરી આપે છે. આ સ્વિચિંગ જે તે વ્યક્તિના વર્તમાન અધિકારો અથવા ઇમિગ્રેશન સ્થિતિને બદલશે નહીં, અસર કરશે નહીં અથવા દૂર કરશે નહીં.
ઇટીએ કઇ રીતે મેળવવા?
ઇટીએ માટે તા. 26થી સર્ટિફિકેટ ઓફ એન્ટાઇટલમેન્ટ ડિજિટલ ફોર્મેટમાં જારી કરાશે. તેને માટે એક જ વાર અરજી કરવાની રહેશે, પાસપોર્ટની મુદત પુરી થાય એટલે તેને માટે ફરી અરજી કરવાની રહેશે નહીં. યુકે ઇટીએ એપ દ્વારા અરજી કરવાનું સરળ અને ઝડપી છે અને હાલમાં મોટાભાગના અરજદારોને મિનિટોમાં જ નિર્ણયની જાણ થઇ જાય છે. જેને કારણે તત્કાળ યુકેનો પ્રવાસ કરવાનું શક્ય બન્યું છે. જો કે, સાવચેતી ખાતર ત્રણ દિવસનો સમય રાખવાનું જણાવાયું છે.
ઇટીએ અરજદારે બાયોગ્રાફિક અને બાયોમેટ્રિક વિગતો આપવા ઉપરાંત યોગ્યતા અને અપરાધવિષયક સવાલોના જવાબ આપવાના રહેશે. એ પછી ઓથોરાઇઝેશનને તેમના પાસપોર્ટ સાથે ડિજિટલી લિન્ક કરવામાં આવશે.
મહત્વની બાબત એ છે કે જે પ્રવાસીઓએ કનેક્ટિંગ ફલાઇટ્સ લેવી હશે તેમણે કે યુકેમાં પ્રવેશ માટે ઇટીએ લેવું ફરજિયાત છે. તેમણે પાસપોર્ટ કન્ટ્રોલમાંથી પસાર થવાનું રહેશે. ઓક્ટોબર 2023માં ઇટીએ અમલી બન્યા બાદ 19 મિલિયન પ્રવાસીઓએ તે મેળવવા અરજી કરી છે અને તેના દ્વારા 383 મિલિયન પાઉન્ડની રેવન્યુ પણ થઇ છે.
યુએસ, કેનેડા અને ફ્રાન્સ સહિત જે 85 દેશોના નાગરિકોને યુકેમાં પ્રવાસ કરવા વીઝાની જરૂર નથી પણ તેમણે હવે કાનુની રીતે ઇટીએ મેળવવા પડશે. 16 પાઉન્ડની ફી ચૂકવવાથી બે વર્ષની મુદત અથવા પાસપોર્ટની મુદત સુધીના – બેમાંથી જેની મુદત વહેલી પુરી થતી હોય તેટલા ઇટીએ મળશે. ઇટીએ દ્વારા એકથી વધારે વખત પ્રવાસ કરી શકાય છે.














