કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને રવિવાર, 1 ફેબ્રુઆરીએ સતત તેમનું નવમું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. 2026-27ના નાણાકીય વર્ષ માટેના આ બજેટની મુખ્ય જાહેરાતો
- સરકારે આવકવેરામાં કોઇ ફેરફાર કર્યો નથી. જોકે આગામી 1 એપ્રિલ, 2026થી નવો ‘ઇન્કમ ટેક્સ એક્ટ’ (આવકવેરા કાયદો) અમલમાં લાવશે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે. આવકવેરા ફોર્મ સરળ બનાવવામાં આવશે.
- ટેક્સમાં ફેરફાર અથવા નાબૂદીને પગલે વિદેશ યાત્રાના પેકેજ, કપડાં, ચામડાની વસ્તુઓ, સિન્થેટિક પગરખાં, કેન્સર-શુગરની દવાઓ, લિથિયમ આયર્ન બેટરી/મોબાઈલ બેટરી, સોલાર ગ્લાસ, માઈક્રોવેવ ઓવન અને વિમાનોનું ઈંધણ જેવી વસ્તુઓ સસ્તી બનશે.
- નાણાપ્રધાન સાત સા નવાં હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે, જેમાં મુંબઈ-પૂણે, પૂણે-હૈદરાબાદ. હૈદરાબાદ-ચેન્નાઇ, હૈદરાબાદ-બેંગલુરુ, ચેન્નઈ-બેંગલુરુ, દિલ્હી-વારાણસી, વારાણસી-સિલિગુડીનો સમાવેશ થાય છે.
- કેન્સરની સારવારની 17 દવાઓ અને બીજા સાત દુર્લભ રોગોની દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ અપાશે
- વિશ્વમાં રેર અર્થ ખનિજોની અછત વર્તાઈ રહી છે ત્યારે નાણાપ્રધાન રેર અર્થ કોરિડોરની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. નવેમ્બર 2025માં રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ માટેની એક યોજના શરૂ કરાઈ હતી.હવે ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા ખનિજ સમૃદ્ધ રાજ્યોને ખાણકામ, પ્રક્રિયા, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત રેર અર્થ કોરિડોર સ્થાપિત કરવાની દરખાસ્ત છે.
- નાણાપ્રધાન સરકારના મૂડીખર્ચને ગયા વર્ષના 11.1 લાખ કરોડથી વધારીને રૂ.12.3 લાખ કરોડ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે સંખ્યાબંધ પગલાં જાહેર કરાયા છે. તેનાથી આ ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થાય તેવી ધારણા છે.
- સરકાર આગામી સમયમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા તરફ પગલાં લેશે. આ માટે 5 સેન્ટર બનાવવામાં આવશે જેમાં રાજ્યોને સરકાર મદદ કરશે. આ સિવાય લોથલ અને હસ્તિનાપુર જેવા દેશનો વૈવિધ્યસભર વારસો ધરાવતા 15 સ્થળોનો વિકાસ કરવામાં આવશે.
- આવકવેરા રિટર્ન રિવાઈઝ કરવાની સમયમર્યાદા 31 ડિસેમ્બરથી વધારી 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે, જોકે તેના માટે નજીવી ફી ચૂકવવી પડશે. આઈટીઆર ફાઇલ કરવાની ટાઈમલાઇનમાં પણ ફેરફારની દરખાસ્ત છે, જેમાં ITR 1 અને 2 ભરનારા વ્યક્તિગત કરદાતાઓ 31 જુલાઈ સુધી રિટર્ન ભરી શકશે, જ્યારે ટ્રસ્ટ અને નોન-ઓડિટ બિઝનેસ માટે આ મર્યાદા 31 ઓગસ્ટ સુધી રહેશે.
- વૈશ્વિક સ્તરે વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને સરહદી પડકારોને ધ્યાનમાં રાખીને સંરક્ષણ બજેટને અગાઉના વર્ષના 6.81 લાખ કરોડથી વધારીને રૂ.7.84 લાખ કરોડ કરવામાં આવ્યો છે. સંરક્ષણ માટેના બજેટમાં આશરે 15 ટકાનો મોટો વધારો કરાયો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને નાગરિક, તાલીમ અને અન્ય વિમાનોના ઉત્પાદન માટે જરૂરી ઘટકો અને ભાગો પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાની પણ દરખાસ્ત કરી છે.












