નાણાપ્રધાન નિર્મલા સીતારામને પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. . (ANI Video Grab/Sansad TV)

ઇક્વિટી મૂડી બજારની તરલતાને વધારવામાં મદદ કરી શકે તેવા પગલામાં કેન્દ્રીય બજેટમાં રવિવારે ભારતની બહાર રહેતા વ્યક્તિઓ (PROI)ને પોર્ટફોલિયો રોકાણ યોજના દ્વારા ભારતના શેરોમાં રોકાણ કરવાની મંજૂરી આપવાની દરખાસ્ત કરી હતી. PROIએ કોઈપણ વ્યક્તિ અથવા એન્ટિટી છે, જે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ભારતના રહેઠાણના માપદંડોને પૂરા કરતાં નથી. આનાથી બિન નિવાસી ભારતીયો (એનએનઆઇ) અને ઓવરશીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCIs) સિવાયના બિન ભારતીય વિદેશી નાગરિકો પણ શેરબજારમાં રોકાણ કરી શકશે.

2026-27ના નાણાકીય વર્ષના બજેટ પ્રવચનમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે “ભારતની બહાર રહેતા વ્યક્તિઓ (PROI)ને પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ દ્વારા લિસ્ટેડ ભારતીય કંપનીઓના ઇક્વિટી સાધનોમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ યોજના હેઠળ વ્યક્તિગત PROI માટે રોકાણ મર્યાદા 5 ટકાથી વધારી 10 ટકા કરવાની પણ દરખાસ્ત છે, તમામ વ્યક્તિગત PROI માટે કુલ રોકાણ મર્યાદા પણ 24 ટકા કરવાની દરખાસ્ત છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ પગલાથી ભારતમાં રોકાણપ્રવાહ વધશે અને અને ભારતીય ચલણમાં સ્થિરતા આવશે. મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના પ્રિન્સિપાલ (મેનેજર રિસર્ચ) હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતની બહાર રહેતા વ્યક્તિઓને સ્થાનિક સ્તરે રોકાણ કરવાની મંજૂરી આપવી એ એક સકારાત્મક સુધારો જણાય છે. તેનાથી બજારના મૂડીબજારનો વ્યાપ વિસ્તૃત બનાવવામાં, તરલતામાં સુધારો કરવા અને બજારમાં ભાગીદારીને વધુ ગાઢ બનાવવામાં મોટી મદદ મળશે. જોકે આ અંગેની વધુ વિગતો બહાર આવ્યા પછી જ આ જાહેરાતના વ્યાપક પરિણામોનું મૂલ્યાંકન કરી શકાય છે.

એડવાઇઝરી કંપની BDO ઇન્ડિયાના ફાઇનાન્શિયલ સર્વિસિસ ટેક્સ, ટેક્સ અને રેગ્યુલેટરી એડવાઇઝરીના પાર્ટનર મનોજ પુરોહિતે જણાવ્યું હતું કે PROI માટે ભારતીય મૂડી બજારોને ખુલ્લા મૂકવાની આ દરખાસ્ત લાંબા સમયથી પેન્ડિંગ હતી. બિન-નિવાસી ભારતીય મૂડી બજારોની સેન્ટિમેન્ટને સમજે છે અને તેમાં રોકાણ કરવા આતુર છે. આ સ્વાગત યોગ્ય પગલાથી માત્ર રોકાણપ્રવાહ વધશે નહીં, પરંતુ ચલણ અને મૂડી બજારોને સ્થિર કરવામાં પણ મદદ મળશે.

દીવાન પીએન ચોપરા એન્ડ કંપનીના મેનેજિંગ પાર્ટનર ધ્રુવ ચોપરાના જણાવ્યા મુજબ આનાથી લાંબા ગાળાના વ્યક્તિગત રોકાણકારો આવશે અને સંસ્થાકીય રોકાણકારો પરની બજારની નિર્ભરતામાં ઘટાડો થશે.

LEAVE A REPLY