કેન્દ્રીય નાણાપ્રધાન રજૂ કરેલા કેન્દ્રીય બજેટને આવકારતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિવારે જણાવ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જાહેર કરાયેલા પ્રોત્સાહથી રાજ્યના ઉત્પાદન ક્ષેત્રને વધુ વેગ આપશે. આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત અને આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ ધપાવે છે અને સામાન્ય લોકોને સુધારાના કેન્દ્રમાં રાખે છે.
તેમણે જણાવ્યું હતું કે લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) પર ધ્યાન કેન્દ્રિત કરવાથી નાના અને લઘુ ઉદ્યોગોને ઘણો ફાયદો થશે.પૂર્વ ભારતના દાનકુનીથી ગુજરાતના સુરત સુધી સમર્પિત ફ્રેઇટ કોરિડોરની જાહેરાતનું સ્વાગત કરતાં તેમણે કહ્યું હતું કે તે ગુજરાત સાથે જોડાયેલા વેપાર, ઉદ્યોગ અને ઉત્પાદન પ્રવૃત્તિઓ માટે ઝડપી લોજિસ્ટિક્સ સેવાઓ પૂરી પાડશે. ટેક્સટાઇલ્સને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરાયેલી છ યોજનાઓથી ગુજરાતના કાપડ ક્ષેત્રને નોંધપાત્ર ફાયદો થશે. ત્રણ કેમિકલ પાર્ક સ્થાપવાની અને બાયોફાર્મા ઉદ્યોગો માટે રૂ.૧૦,૦૦૦ કરોડ ફાળવવાની દરખાસ્તથી રાજ્યને ફાયદો થશે, કારણ કે ગુજરાત કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગનું હબ છે.
તેમણે પાંચ લાખથી વધુ વસ્તી ધરાવતા ટાયર-II અને ટાયર-III શહેરોને સિટી ઇકોનોમિક રિજન્સ તરીકે વિકસાવવાના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે તેનાથી રાજ્યના નાના શહેરોના સંકલિત વિકાસને વેગ મળશે. જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી વૈશ્વિક સ્તરે પરંપરાગત દવામાં સંશોધનને વેગ મળશે.દેશના 15 પુરાતત્વીય વારસા ક્લસ્ટર પ્રવાસન વિકાસ પ્રોગ્રામમાં લોથલ અને ધોળાવીરાનો સમાવેશ કરાયો છે.












