કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે 27 ફેબ્રુઆરીએ મુંબઈ આવી પહોંચ્યાં હતાં. 2023માં કાર્નીના પુરોગામી જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર શીખ અલગતાવાદી નેતાની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ કાર્નીની આ ભારત મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે. આ મુલાકાતથી હવે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો ફરી ઉષ્માભર્યા બને તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
મુંબઈમાં કાર્ની અલગ-અલગ બિઝનેસ કાર્યક્રમોમાં ભાગ લેશે તથા ભારતીય અને કેનેડિયન કોર્પોરેટ નેતાઓ, નાણાકીય નિષ્ણાતો અને ઇનોવેટર સાથે વાતચીત કરશે. કાર્ની રવિવારે નવી દિલ્હી પહોંચશે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્દ મોદી સાથે સોમવારે વ્યાપક વાટાઘાટો કરશે.
ભારતના વિદેશ મંત્રાલય (MEA)એ જણાવ્યું હતું કે બંને નેતાઓ ભારત-કેનેડા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં અત્યાર સુધી પ્રાપ્ત થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.
કાર્ની મુલાકાત દરમિયાન ભારતને આગામી 10 વર્ષ સુધી યુરેનિયમ સપ્લાય કરવા માટે લગભગ 2.8 બિલિયન કેનેડિયન ડોલર (આશરે ₹23,000 કરોડ)ના કરાર પર હસ્તાક્ષર થવાની ધારણા છે. અગાઉ કેનેડામાં ભારતના હાઈ કમિશનર દિનેશ પટનાયકે જણાવ્યું હતું કે કાર્નીની મુલાકાત દરમિયાન યુરેનિયમ, ઊર્જા, ખનિજો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગેના સોદાઓ પર હસ્તાક્ષર કરાશે.
અમેરિકા પરની નિર્ભરતામાં ઘટાડો કરવા માટે કાર્ની પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે તેઓ ભારત મુલાકાત લઈ રહ્યાં છે. અગાઉ તેમને ચીનની મુલાકાત લીધી હતી અને એક પ્રારંભિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.
2023માં કાર્નીના પુરોગામી જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર શીખ અલગતાવાદી નેતાની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ કાર્ની ભારત સાથેના સંબંધોને ફરીથી સ્થાપિત કરી રહ્યા છે. ગયા વર્ષે કાર્નીના આમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રુપ ઓફ 7 સમિટમાં હાજરી આપી હતી અને કાર્નીના ઘણા પ્રધાનો ભારતની યાત્રા કરી ચૂક્યા છે.
પટનાયકે જણાવ્યું હતું કે ભારત સાથે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) માટે ઔપચારિક વાટાઘાટો માર્ચમાં શરૂ થવાની શક્યતા છે. બંને દેશો નવેમ્બરમાં અટકેલી વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા હતાં. કાર્ની તેમની મુલાકાત દરમિયાન ભારત સરકાર સાથે પરમાણુ ઉર્જા, તેલ અને ગેસ, પર્યાવરણ, એઆઈ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તેમજ શિક્ષણ અને સંસ્કૃતિ પરના નાના કરારો પર હસ્તાક્ષર કરશે. 10 વર્ષના 2.8 બિલિયન કેનેડિયન ડોલરના યુરેનિયમ સપ્લાય સોદાનો સમાવેશ થવાની શક્યતા છે.
અગાઉ કેનેડાના ઉર્જા પ્રધાન ટિમ હોજસને કહ્યું હતું કે ભારત આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના સલામતી નિયમોનું પાલન કરે ત્યાં સુધી કેનેડા એક કરાર હેઠળ ભારતને યુરેનિયમ વેચવા તૈયાર છે. આપણે જાણીએ છીએ કે ભારત એક મુખ્ય પરમાણુ દેશ છે અને તેની પાસે પરમાણુ ઊર્જાના નાગરિક ઉપયોગને વધારવા માટે મોટી યોજનાઓ છે. તેથી હું અપેક્ષા રાખું છું કે તે એક એવો વિષય હશે જેની અમે મારા સમકક્ષ સાથે ચર્ચા કરીશું.














