
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેનેડિયન સમકક્ષ માર્ક કાર્ની વચ્ચે નવી દિલ્હીમાં સોમવાર, 2 માર્ચે દ્રિપક્ષીય બેઠક પછી ભારત અને કેનેડાએ યુરેનિયમ અંગે એક સીમાચિહ્નરૂપ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં અને ટૂંકસમયમાં સર્વગ્રાહી આર્થિક ભાગીદારી કરારને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો. 2.6 અબજ ડોલરની ડીલ હેઠળ કેનેડા ભારતને લાંબા ગાળા માટે યુરેનિયમનો સપ્લાય આપશે.
બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં સુરક્ષા પરિસ્થિતિ પર પણ ચર્ચાવિચારણા કરી હતી, જેમાં પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત સંવાદ અને રાજદ્વારી દ્વારા તમામ સંઘર્ષોના ઉકેલને સમર્થન આપે છે. પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ આપણા માટે ગંભીર ચિંતાનો વિષય છે. ભારત વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ વિવાદોના ઉકેલને સમર્થન આપે છે.
મોદી-કાર્ની વાટાઘાટો બાદ, બંને પક્ષોએ અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા હતાં, જેમાં મહત્વપૂર્ણ ખનિજ ક્ષેત્રમાં સહયોગ માટેનો એક કરાર પણ સામેલ છે. મોદીએ જણાવ્યું હતું કે નાગરિક અણુ ઊર્જા ક્ષેત્રમાં અમે યુરેનિયમના લાંબા ગાળાના સપ્લાય માટે એક ઐતિહાસિક ડીલ કરી છે. અમે નાના મોડ્યુલર રિએક્ટર્સ અને એડવાન્સ્ડ રિએક્ટર્સ અંગે સાથે મળીને કામગીરી કરીશું. કરાર હેઠળ કેનેડા ભારતને યુરેનિયમ સપ્લાય કરશે.
બંને દેશોએ સર્વગ્રાહી આર્થિક ભાગીદારી કરાર માટેનું એક માળખું પણ તૈયાર કર્યું છે. મોદીએ જણાવ્યું હતું કે “ભારત અને કેનેડા લોકશાહી મૂલ્યોમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. આપણે વિવિધતાની ઉજવણી કરીએ છીએ. માનવતાની સુખાકારી આપણું સહિયારો વિઝન છે. આ વિઝન આપણને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. આજે અમે આ વિઝનને આગામી સ્તરની ભાગીદારીમાં રૂપાંતરિત કરવાની ચર્ચાવિચારણા કરી હતી. ભારત અને કેનેડા સંરક્ષણ ઉદ્યોગો અને દરિયાઈ ક્ષેત્ર જાગૃતિ વધારવા માટે પણ કામ કરશે.
પોતાના ભાષણમાં કાર્નીએ કહ્યું હતું કે કેનેડા અને ભારત ભવિષ્ય માટે પોતાનો માર્ગ નક્કી કરી રહ્યાં છે, જે નવી મહત્વાકાંક્ષાઓ સાથે મૂલ્યવાન ભાગીદારીનું વિસ્તરણ છે.ભારત અને કેનેડા આ વર્ષના અંત સુધીમાં મુક્ત વેપાર કરારની વાટાઘાટો પૂર્ણ કરશે. ભારત સરકાર અને કેનેડાની કેમકોએ ભારતની પરમાણુ મહત્વાકાંક્ષાઓને ટેકો આપવા તથા વિશ્વસનીય બેઝ લોડ પાવર તરફ કામ કરવા માટે યુરેનિયમ સપ્લાય કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
મોદીએ જણાવ્યું હતું કે નવી દિલ્હી અને ઓટાવા 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલર સુધી વધારવાની આશા રાખે છે. બંને દેશો વચ્ચે 2024-25માં લગભગ 9 બિલિયન ડોલરનો વેપાર થયો હતો.
અગાઉ ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે કાર્ની 27 ફેબ્રુઆરીએ મુંબઈ આવી પહોંચ્યાં હતાં. 2023માં કાર્નીના પુરોગામી જસ્ટિન ટ્રુડોએ ભારત સરકાર પર શીખ અલગતાવાદી નેતાની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ કાર્નીની મુલાકાતથી બંને દેશો વચ્ચે વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. મુંબઈમાં કાર્નીએ અલગ-અલગ બિઝનેસ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.













