આ વર્ષના અંતમાં સંસદીય મંજૂરીને આધીન અપેક્ષિત દરખાસ્તો અંતર્ગત મોટાભાગના વસાહતીઓ માટે કાયમી વસવાટ માટેનો લાયકાતનો સમયગાળો પાંચથી 10 વર્ષ સુધી બમણો કરવાનો સમાવેશ થાય છે, જેમાં શરણાર્થીઓને સંભવત: 20 વર્ષ સુધી રાહ જોવી પડશે.
દેશમાં રક્ષણ આપવામાં આવેલા શરણાર્થીઓ આપમેળે કાયમી વસવાટ માટે આગળ વધી શકે છે એવી લાંબા સમયથી ચાલતી ધારણાને સમાપ્ત કરતા ફેરફારો યુકે સરકાર લાવી રહી છે. તા. 2ને સોમવારથી હોમ સેક્રેટરી શબાના મહમૂદ માન્ય શરણાર્થીઓને ફક્ત કામચલાઉ રક્ષણ આપતા નવા નિયમો એસાયલમ સીસ્ટમમાં લાવી રહી છે અને તેમના કેસોની દર 30 મહિને સમીક્ષા કરવામાં આવશે. આ ઇમિગ્રેશન નિયમોમાં થનારા સુધારા માટે સંસદીય મતદાનની જરૂર નથી.
હોમ સેક્રેટરી શબાના મહમૂદે ભારપૂર્વક જણાવ્યું છે કે સરહદ પર થતી ઘુસણખોરી પર નિયંત્રણ મેળવવા માટે આ ફેરફાર જરૂરી છે અને તે ડિલિવર કરવામાં નિષ્ફળતા આગામી ચૂંટણીમાં લેબર જનતાના વિશ્વાસને નુકસાન પહોંચાડી શકે છે.
આ સુધારાઓ હેઠળ, જે રેફ્યુજીની સ્થિતિ પુષ્ટિ થઈ છે તેમને હવે પાંચ વર્ષ પછી વસવાટના અધિકારો મળશે નહીં. તેના બદલે, તેમના રક્ષણનું નિયમિત રીતે પુનઃમૂલ્યાંકન કરવામાં આવશે. જો તેમના દેશમાં તેઓ સુરક્ષિત જણાશે તો તેમને મૂળ દેશમાં પરત કરી શકાશે. જો કે આ નિયમોમાથી સાથ વગરના બાળકોને મુક્તિ આપવામાં આવશે.
2025માં, 41,000થી વધુ લોકોએ ચેનલમાં ખતરનાક નાની-બોટ દ્વારા ક્રોસિંગ કર્યું હતું. હોમ સેક્રેટરીએ કહ્યું હતું કે ફેરફાર કરવાથી લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં અને મોંઘી હોટેલોમાં રહેઠાણ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
આ નીતિની ડેનમાર્કમાંથી પ્રેરણા લેવામાં આવી છે, જ્યાં અધિકારીઓ શરણાર્થીઓના કેસોની વારંવાર સમીક્ષા કરે છે અને કાયમી વસવાટના નિયમોને કડક બનાવ્યા છે. મહમૂદે તાજેતરમાં કોપનહેગનની મુલાકાત લીધી હતી જેથી શરણાર્થીઓના સ્વાગત કેન્દ્રો અને પરત ફરવાની પ્રક્રિયાઓની તપાસ કરી શકાય.
જોકે, આ સુધારાઓએ લેબર રેન્ક અને રેફ્યુજી ચેરિટીઝમાં ચિંતા પેદા કરી છે. ટીકાકારોએ ચેતવણી આપી છે કે વારંવારની સમીક્ષાઓ પહેલાથી જ રક્ષણની જરૂર હોય તેવા લોકો માટે એકીકરણ, રોજગારની સંભાવનાઓ અને સ્થિરતાને નબળી પાડી શકે છે. કેટલાક સાંસદોએ આ ફેરફારોને “બિન-બ્રિટિશ” ગણાવ્યા છે, જ્યારે વિરોધી પક્ષો દલીલ કરે છે કે સરકાર પૂરતી આગળ વધી નથી.














