ઈરાન પર યુએસ અને ઇઝરાયલી સંયુક્ત હુમલાઓ અને મિડલ ઇસ્ટમાં વધતા તણાવને કારણે વૈશ્વિક હવાઈ મુસાફરી પર અસર પડી રહી હોવાથી હીથ્રો એરપોર્ટ પર ફ્લાઇટ્સ નોંધપાત્ર રીતે ખોરવાઈ રહી છે. હીથ્રો અને ગેટવિક એરપોર્ટ સહિત યુકેના માન્ટેસ્ટર તથા બર્મીંગહામ હવાઈ મથક પરથી ઉપડતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, વિલંબિત કરવામાં આવી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. મુસાફરોને તેમના ફ્લાઇટ અપડેટ – માહિતી માટે તેમની એરલાઇન્સ સાથે તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે.
બ્રિટિશ એરવેઝે તેલ અવીવ અને બહેરીન જેવા મિડલ ઇસ્ટ સ્થળોની સેવાઓ સ્થગિત કરી દીધી છે. આ વિક્ષેપ યુકે અને ભારત વચ્ચેના રૂટને પણ અસર કરી રહ્યો છે. એર ઇન્ડિયા અને ઇન્ડિગો સહિત ભારતીય કેરિયર્સે મિડલ ઇસ્ટ હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરતી ફ્લાઇટ્સ રદ કરી છે. એર ઇન્ડિયાએ યુએઈ, સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને કતાર જતી અને પરત થતી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે, ભારત-યુરોપ વચ્ચેની સેવાઓ પણ રદ કરવામાં આવી છે. તેના કારણે દિલ્હી-ઝુરિચ, દિલ્હી-કોપનહેગન અને અમૃતસર-બર્મિંગહામ જેવા રૂટ પર અસર પડી છે.
ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરસ્પેસ બંધ થવાને કારણે 357 ફ્લાઇટ્સ રદ કરી છે અને આંતરરાષ્ટ્રીય સેવાઓમાં સેંકડો વિક્ષેપો થયા છે, જેમાં મુસાફરોને રિફંડ અથવા ફરીથી શેડ્યૂલ કરવાના વિકલ્પો ઓફર કરવામાં આવ્યા છે.














