(ANI Video Grab)

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવાર, 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC મેન્સ T20 વર્લ્ડ કપની ફાઇનલ પહેલા અમદાવાદમાં ક્રિકેટનો ફીવર છવાયો હતો. ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યે ચાલુ થનારી આ મેચની ટિકિટના કાળા બજાર ચાલુ થયાં હતાં. શહેરમાં વિવિધ સ્થળોએ મોટી સ્ક્રીન પર મેચ જોવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમદાવાદમાં ભારે ઉત્સાહનો માહોલ છે. લોકોએ આ મેચ માણવા અને સેલિબ્રેશન માટેની તડામાર તૈયારીઓ કરી છે અને ખાસ કરીને સ્ટેડિયમ પર જઈને લાઈવ મેચ જોવા માટે પડાપડી પણ થઈ રહી છે. જેના પગલે ટિકિટની ખેંચાખેંચી સાથે કાળાબજારી પણ શરૂ થઈ છે. રૂ.3,000ની ટિકિટના ભાવ રૂ.30થી 50 હજાર થયા હોવાનો મીડિયામાં અહેવાલ આવ્યાં હતાં.

અમદાવાદના ઘણા થિયેટર્સમાં પણ ફાઈનલ મેચના મોટા પડદા પર લાઇવ પ્રસારણનું આયોજન કરાયું હતું અને મોટાભાગના ક્રિકેટ શો હાઉસફુલ થઈ ગયા હતાં.

ફાઇનલમાં ભારતને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ભારત ફાઇનલ જીતશે, તો T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રીજું ટાઇટલ જીતનાર અને સતત બે વાર ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બનશે. જો ન્યુઝીલેન્ડ જીતશે, તો તે T20 વર્લ્ડ કપ જીતનાર સાતમી ટીમ બનશે.

ભારતે ગ્રુપ સ્ટેજમાં તેની ચારેય મેચ જીતી હતી. જોકે સુપર 8માં દક્ષિણ આફ્રિકા સામે તેની કારમી હાર થઈ હતી. આ પછી સુપર-8માં ભારતીય ટીમે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ન્યૂઝીલેન્ડ લીગ તબક્કા દરમિયાન દક્ષિણ આફ્રિકા પછી તેમના ગ્રુપમાં બીજા સ્થાને રહ્યું હતું.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 30 ટી20 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 18 મેચ જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 11 મેચ જીતી છે. આ ફાઇનલમ દરમિયાન સુરક્ષાના સાવચેતીના પગલાં તરીકે 3,000થી વધુ પોલીસ કર્મચારીઓ, લગભગ 1,000 હોમગાર્ડ્સ અને ત્રણ એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરવાની પોલીસે જાહેરાત કરી હતી.

LEAVE A REPLY