યુકેના હોમ સેક્રેટરી શબાના મહમૂદે રજૂ કરેલી વિવાદાસ્પદ પાયલોટ યોજના હેઠળ એસાયલમનો દાવો કરનાર નિષ્ફળ શરણાર્થી જો સ્વૈચ્છિક રીતે દેશ છોડી વતન પાછા ફરવા માટે સંમત થશે તો તેમને પ્રતિ વ્યક્તિ £10,000 અને પ્રતિ પરિવાર £40,000 સુધી અપવામાં આવશે. આ યોજનાનું અનાવરણ કર્યા પછી લેબર પાર્ટીમાં ભારે હોબાળો મચી ગયો છે.
લંડનમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર પબ્લિક પોલિસી રિસર્ચ ખાતે શબાના મહમૂદે જાહેર કરાયેલ આ પહેલ અંતર્ગત શરૂઆતમાં કરદાતાઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા આવાસમાં રહેતા લગભગ 150 પરિવારોને લક્ષ્ય બનાવાયા હતા. તેમને ગુરુવારે સવારે જાણ કરવામાં આવી હતી અને ઓફર સ્વીકારવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો. ડેનમાર્કની સફળ સિસ્ટમના આધારે બનાવવામાં આવેલી આ નીતિનો હેતુ પ્રારંભિક £20 મિલિયન બચાવવાનો છે. અધિકારીઓ કહે છે કે એસાયલમ હોટેલમાં રહેતા ત્રણ લોકોના એક પરિવારને રહેવાનો ખર્ચ વાર્ષિક £158,000 સુધી પહોંચે છે.
મહમૂદે જણાવ્યું હતું કે આ પ્રોત્સાહનનો હેતુ સ્વૈચ્છિક રીતે પોતાના દેશમાં પરત ફરવા માટે પ્રોત્સાહન આપવાનો અને સરકારી ભંડોળ ધરાવતા આવાસોમાં રહેતા માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાનો છે. જે લોકો આ રકમ લેવાનો ચુકવણીનો ઇનકાર કરશે તેમને સુરક્ષિત રીતે તેમના મૂળ દેશમાં પરત મોકલી શકાશે તો તેમને બળજબરીથી કાઢી મૂકવામાં આવી શકે છે.
આ દરખાસ્ત બ્રિટનની એસાયલમ અને ઇમિગ્રેશન સિસ્ટમના વ્યાપક સુધારાનો ભાગ છે. સરકારે દર 30 મહિને શરણાર્થી સ્થિતિની સમીક્ષા કરવાની, કાયમી વસાહત માટે અંગ્રેજી ભાષાની આવશ્યકતાઓને કડક બનાવવાની અને ઇનડેફીનેટ લીવ ટૂ રીમેઇન (કાયમી વસવાટ) માટે લાયકાતનો સમયગાળો પાંચથી દસ વર્ષ સુધી લંબાવવાની યોજનાઓની પણ જાહેરાત કરી છે.
આ યોજનાએ જોરદાર રાજકીય ચર્ચા જગાવી છે. આ જાહેરાતનો લેબર ડાબેરી પક્ષ તરફથી જ ઉગ્ર વિરોધ થયો છે, જેમાં 100 થી વધુ સાંસદોએ વિરોધના ખાનગી પત્ર પર હસ્તાક્ષર કર્યા હોવાના અહેવાલ છે. ટીકાકારોએ સરકાર પર નાઇજેલ ફરાજના રેટરિકનું અનુકરણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
કેટલાક લેબર સાંસદો અને એસાયલમ ચેરિટીઝ ચેતવણી આપે છે કે આ નીતિ બાળકો ધરાવતા પરિવારો માટે માનવતાવાદી ચિંતાઓ તરફ દોરી શકે છે. ટીકાકારો દલીલ કરે છે કે તે શરણાર્થીઓ માટે અનિશ્ચિતતા ઊભી કરવાનું જોખમ ધરાવે છે, જ્યારે સમર્થકો કહે છે કે માઇગ્રેશનને નિયંત્રિત કરવા અને જાહેર નાણાં અને જાહેર સેવાઓ પર દબાણ ઘટાડવા માટે કડક પગલાં લેવાની જરૂર છે.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે યોજનાને દેશભરમાં વિસ્તૃત કરવા અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા પાઇલટ પ્રોજેક્ટ પર નજીકથી નજર રાખવામાં આવશે.













