JD-Uના વડા નીતિશ કુમાર (ANI Photo)

બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને ભાજપ પ્રમુખ નીતિન નવીન રાજ્યસભામાં બિનહરીફ પ્રવેશ કરશે, જ્યારે NCP-SP સુપ્રીમો અને પીઢ રાજકીય નેતા શરદ પવાર પણ ફરી એકવાર ઉપલા ગૃહમાં પાછા ફરશે. 10 રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની 37 બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે આ નેતાઓ સહિત કુલ 40 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતાં.

જોકે બિહાર, ઓડિશા અને હરિયાણાની એક-એક બેઠક માટે તીવ્ર સ્પર્ધા જોવા મળશે. મહારાષ્ટ્રમાં સાત, તમિલનાડુમાં છ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પાંચ-પાંચ, ઓડિશામાં ચાર, આસામમાં ત્રણ તથા હરિયાણા, તેલંગાણા અને છત્તીસગઢમાં બે-બે બેઠકો ખાલી પડી રહી છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં એક બેઠક ખાલી પડી રહી છે.

શુક્રવારે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 9 માર્ચ સુધી ઉમેદવારીપત્રો પાછા ખેંચી શકાશે. જરૂર પડ્યે 16 માર્ચે મતદાન યોજાશે. તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામમાં એપ્રિલમાં વિધાનસભા ચૂંટણી થવાની શક્યતા છે.
રાજ્યસભાની 37 બેઠકોની આ ચૂંટણી પછી રાજ્યસભામાં ભાજપના સંખ્યાબળમાં વધારો થશે. આ રાઉન્ડની ચૂંટણી પછી તેને મહત્તમ બેઠકો મળશે.

/* */

સંસદના ઉપલા ગૃહમાં પાછા ફરનારા અન્ય નેતાઓમાં કેન્દ્રીય મંત્રીઓ રામ નાથ ઠાકુર અને રામદાસ આઠવલે ઉપરાંત, ડીએમકેના લોકસભાના ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર એમ થંબીદુરાઈ અને કોંગ્રેસના જાણીતા વકીલ અભિષેક સિંઘવીનો સમાવેશ થાય છે.

નીતિશ કુમાર અને નવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પટનામાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. શરદ પવાર વતી તેમની પુત્રી સુપ્રિયા સુલેએ મુંબઈમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું.

બિહારમાં પણ એક બેઠક માટે તીવ્ર સ્પર્ધા જોવા મળશે, કારણ કે આરજેડીના વર્તમાન સાંસદ અમરેન્દ્ર ધારી સિંહને પાર્ટીએ ફરીથી ઉમેદવાર બનાવ્યાં છે. ઉદ્યોગપતિમાંથી રાજકીય નેતા બનેલી ધારીએ ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેજસ્વી યાદવ ઉપસ્થિત રહ્યાં હતાં. આરજેડી પાસે 25 ધારાસભ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ અને ડાબેરીઓ સહિત 10 અન્ય ધારાસભ્યો છે. તેમને AIMIM અને BSPની મદદથી છ મતોની ખોટ ભરપાઈ થવાની ધારણા છે.

LEAVE A REPLY