
અમેરિકા અને ઇઝરાયેલના 28 ફેબ્રુઆરીના હવાઇ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના મોતના છ દિવસ પછી ભારતે તેમના નિધન પર શોક કર્યો હતો. ખામૈનેઇના મોત અને શ્રીલંકાના દરિયાકાંઠે ઇરાનના યુદ્ધજહાજ પર અમેરિકાના હુમલાના મુદ્દે સરકારે અત્યાર સુધી ચુપકીદી સેવી હતી અને તેની વિપક્ષે આકરી ટીકા પણ કરી હતી.
ગુરુવારે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી હતી અને ભારત સરકાર વતી શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા હતાં. મિસરીએ ઈરાની રાજદૂત મોહમ્મદ ફતહલી સાથે પણ ટૂંકી વાતચીત કરી હતી.
વિદેશ મંત્રી એસ જયશંકરે પણ તેમના ઈરાની સમકક્ષ સૈયદ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાતચીત કરી હતી અને પશ્ચિમ એશિયામાં ઊભરતી સ્થિતિની અંગે ચર્ચાવિચારણા કરી હતી. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો શરૂ કર્યા તે પછી બંને વિદેશ મંત્રીઓ વચ્ચે આ બીજી ફોન વાતચીત હતી.
મિસરીએ શોકસંદેશમાં લખ્યું હતું કે ભારતની સરકાર અને લોકો વતી ઉંડી સંવેદના. અમે દિવંગત આત્માના શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. ભારતની આ હિલચાલ દર્શાવે છે કે ઇરાન સંઘર્ષના મુદ્દે ભારતના વલણમાં હવે પરિવર્તન આવી રહ્યું છે.
આ મુદ્દે છેલ્લાં કેટલાંક દિવસોમાં સરકાર પર વિપક્ષના આકરા પ્રહારો થયા હતાં. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ખામેનેઇની ટાર્ગેટેડ હત્યા પર સરકારનું મૌન ભારતની વિદેશ નીતિની દિશા અને વિશ્વસનીયતા અંગે ગંભીર શંકાઓ ઉભી કરે છે.
ભારતે પશ્ચિમ એશિયાના સંકટને વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલવાની હાકલ કરી હતી, પરંતુ ખામેનેઇની હત્યા પર કોઇ પ્રતિક્રિયા આપી ન હતી.












