FILE PHOTO: Supreme Court of India

ભારતની સુપ્રીમ કોર્ટે બુધવાર, 11 માર્ચે એક ઐતિહાસિક ચુકાદામાં 13 વર્ષથી પથારીવશ યુવક હરીશ રાણા (ઉં. 31)ને ‘પેસિવ યુથેનેશિયા'(ઇચ્છા મૃત્યુ)ની મંજૂરી આપી હતી. સર્વોચ્ચ અદાલતે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ પર સર્વગ્રાહી કાયદો બનાવવાની વિચારણા કરવાની સરકારને પણ ટકોર કરી હતી. ભારતમાં નિષ્ક્રીય ઇચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં આવી હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. હરીશ રાણાના માતા-પિતાએ જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જોઈને તેના ઇચ્છા મૃત્યુ માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હતાં.

હરીશ રાણા 13 વર્ષ પહેલા ચંદીગઢની એક હોસ્ટેલમાં ચોથા માળેથી નીચે પટકાઈને પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટમાં જતો રહ્યો હતો. ત્યાર પછી ગાઝિયાબાદના રહેવાસી હરીશના માતા-પિતાએ જીવતી લાશ બની ગયેલા પુત્રની સ્થિતિ જોઈને તેના ઇચ્છા મૃત્યુ માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

ભાવનાત્મક મુદ્દા પર સુપ્રીમ કોર્ટના પ્રથમ આદેશમાં ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને કે વી. વિશ્વનાથનની બનેલી ખંડપીઠે એઈમ્સ-દિલ્હીને નિર્દેશ આપ્યો હતો કે લાઇફ સપોર્ટ સિસ્ટમ એક સુવ્યવસ્થિત યોજના સાથે હટાવી લેવામાં આવે, જેથી ગૌરવ જળવાઈ રહે.

આ સમગ્ર મામલો ગાઝિયાબાદનો હરીશ રાણાનો છે. પંજાબ યુનિવર્સિટીમાં બીટેકનો વિદ્યાર્થી અને ફૂટબોલના શોખીન યુવાન હરીશ રાણાને 2013માં પેઇંગ ગેસ્ટ આવાસના ચોથા માળેથી પડી જવાથી માથામાં ઈજા થઈ હતી અને ત્યારથી તે કોમામાં છે.

ખંડપીઠે 228 પેજના ચુકાદામાં જણાવ્યું હતું કે મેડિકલ સારવાર હવે અરજદારના શ્રેષ્ઠ હિતમાં નથી. માતાપિતા, નજીકના સંબંધીઓ અને તબીબી બોર્ડની સર્વસંમતિથીને આધારે અમારું મંતવ્ય છે કે મેડિકલ સારવાર હવે વધુ લાંબો સમય રાખવાની જરૂર નથી. ગૌરવ સાથે મૃત્યુ પામવાનો અધિકાર ગુણવત્તાયુક્ત મેડિકલ સારવાર અને જીવનના અંત સમયની સંભાળ મેળવવાના અધિકારનો અવિભાજ્ય હિસ્સો છે. તેથી લાઇફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની પ્રક્રિયા પણ પીડા, વેદનાથી ભરેલી ન હોવી જોઇએ.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે રાણા ફક્ત પર્ક્યુટેનીયસ એન્ડોસ્કોપિક ગેસ્ટ્રોસ્ટોમી ટ્યુબ દ્વારા આપવામાં આવતા પોષણ દ્વારા જ જીવિત છે અને મેડિકલ બોર્ડે સર્વસંમતિથી તારણ કાઢ્યું છે કે સારવાર ચાલુ રાખવાથી ફક્ત જૈવિક અસ્તિત્વ લંબાય છે અને સાજા થવાની કોઈ શક્યતા નથી. પ્રાયમરી અને સેકન્ડરી મેડિકલ બોર્ડ જીવન સહાયક ઉપકરણ પાછાં ખેંચી લેવાનું પ્રમાણિત આપ્યું છે ત્યારે ન્યાયિક હસ્તક્ષેપની કોઈ જરૂર છે.

કોર્ટે રાણાના માતાપિતાનો ખાસ ઉલ્લેખ કરીને તેમના પુત્ર પ્રત્યે અપાર પ્રેમ અને સંભાળ દર્શાવવા બદલ તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે પરિવારે રાણાનો ક્યારેય સાથ છોડ્યો નથી.

પરમેનેન્ટ વેજિટેટિવ સ્ટેટ મગજની એવી ગંભીર સ્થિતિ છે, જેમાં વ્યક્તિ જાગૃત હોવા છતાં તેને આસપાસના વાતાવરણનું ભાન હોતું નથી. આ સ્થિતિમાં દર્દીની આંખો ખુલ્લી હોય છે અને તે ક્યારેક ઊંઘે કે જાગે તેવું પણ લાગે છે, પરંતુ તેમનું મગજ કોઈ વિચાર કરી શકતું નથી કે કોઈ સૂચનાનું પાલન કરી શકતું નથી. તે હલનચલન કરી શકતા નથી કે બોલી શકતા નથી. શરીરના મૂળભૂત કાર્યો (જેમ કે શ્વાસ લેવો, હૃદયના ધબકારા અને પાચન) ચાલુ રહે છે, કારણ કે મગજનો નીચેનો ભાગ (Brainstem) કામ કરતો હોય છે, પણ ઉપરનો ભાગ (Cerebral Cortex) જે વિચારવાનું કામ કરે છે, તે કામ કરવાનું બંધ કરી દે છે.

/* */

LEAVE A REPLY