ગુજરાતના વેરાવળની વિશેષ અદાલતે મંગળવાર, 17 માર્ચે 2016ના ઉનાકાંડના પાંચ દોષિતોને પાંચ વર્ષની કેદની સજા અને દરેકને રૂ.5,000 દંડનો ફટકાર્યો હતો. 10 વર્ષ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર નજીકના મોટા સમઢીયાળા ગામમાં મરેલી ગાયનું ચામડુ ઉતારવાના મુદ્દે દલિતોને અર્ધનગ્ન કરીને નિર્દયતાથી લાકડી અને પાઇપોથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો અને તોફાનો પણ થયાં હતાં.
એક દિવસ પહેલા ખાસ કોર્ટે આ કેસમાં પાંચ લોકોને દોષિત ઠેરવ્યાં હતાં અને 35 અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા હતાં, જ્યારે એક પોલીસકર્મી સામેનો કેસ તેના મૃત્યુને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. એક કિશોર સામેનો કેસ હજુ પણ ચાલી રહ્યો છે.
મંગળવારે સ્પેશિયલ SC/ST એટ્રોસિટી કેસના ન્યાયાધીશ જેજે પંડ્યાએ પાંચેય આરોપીઓને SC/ST (અત્યાચાર નિવારણ) ધારાની જોગવાઈઓ હેઠળ પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે તેમને મહત્તમ પાંચ વર્ષની જેલની સજા ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ 323 અને 324 હેઠળ ત્રણ વર્ષની કેદ, કલમ 342 હેઠળ એક વર્ષની કેદ અને કલમ 504 હેઠળ બે વર્ષની જેલની સજા પણ ફટકારી છે. બધી સજાઓ એકસાથે ચાલશે.
બચાવ પક્ષના વકીલ વિજય કુમારે જણાવ્યું હતું કે આ પાંચ દોષિતોમાંથી ચાર દોષિત છ વર્ષથી વધુ સમયથી જેલમાં છે, જ્યારે અન્ય એક દોષિત છેલ્લા ચાર વર્ષ અને બે મહિનાથી જેલમાં છે, અને તેમને બાકીની જેલની સજા ભોગવવી પડશે.
દોષિતોની ઓળખ રમેશ જાધવ, રાકેશ જોશી, નાગજી વાણિયા, પ્રમોદગીરી ગોસ્વામી અને બલવતગીરી ગોસ્વામી તરીકે થઈ છે. જ્યારે એક સગીર સામે ટ્રાયલ પેન્ડિંગ છે.ટ્રાયલ દરમિયાન કોર્ટે 260 સાક્ષીઓની તપાસ કરી હતી.
આ ઘટના 11 જુલાઈ, 2016 ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના ઉના શહેર નજીક મોટા સમઢીયાળા ગામમાં બની હતી. ચાર દલિત યુવાનો તેમના પરંપરાગત વ્યવસાયના ભાગ રૂપે એક મરેલી ગાયનું ચામડું ઉતારી રહ્યાં હતાં. સ્વયંભૂ ગૌરક્ષકો તરીકે ઓળખાતા આરોપીઓએ આ દલિત યુવાનોને માર માર્યો હતો. આ પછી દલિત યુવાનોને ગેરકાયદેસર રીતે લોકઅપમાં પૂરાયા હતા અને પોલીસ કર્મચારીઓએ પણ માર માર્યો હતો. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચાર દલિતોને લગભગ 4-5 કલાક સુધી માર મારવામાં આવ્યો હતો.














