વેસ્ટ લંડનમાં આવેલ હેમરસ્મિથ ખાતે આવેલ રંગરેઝ રેસ્ટોરન્ટમાં બિન-હલાલ માંસ પિરસવા બાબતે રેસ્ટોરંટ સામે ઉભા થયેલા વિરોધ બાદ રેસ્ટોરન્ટ માલિક હરમન સિંહ કપૂરને અટકાયતમાં લેવામાં આવ્યા બાદ દેશભરમાં હલાલ અને બિન-હલાલ માંસ અંગેનો વિવાદ અને વિરોધ ઉગ્ર થયો છે અને હવે આ વિવા
દ યુકેમાં રાજકીય અને સાંસ્કૃતિક તોફાનનું કેન્દ્ર બની ગયું છે અને આંતરરાષ્ટ્રીય ઓનલાઇન ચર્ચામાં ફેરવાઈ ગયો છે.
હેમરસ્મિથના ફુલહામ પેલેસ રોડ પર 16 વર્ષથી ચાલતી રંગરેઝ રેસ્ટોરન્ટના માલિક, હરમન સિંહ કપૂરે તેમની રેસ્ટોરંટમાં હલાલ માંસ પીરસ પીરસવામાં આવશે નહિં તેવી જાહેરાત કર્યા પછી તેમણે મહિનાઓ સુધી હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
કપૂરે તેમની રેસ્ટોરન્ટની બહાર લગાવેલા મોટા બોર્ડ પર લખ્યું હતું કે “ગર્વથી અમે હલાલ વેચતા નથી.” કપૂરે કહ્યું હતું કે તેમનો નિર્ણય ધાર્મિક માન્યતાઓ પર આધારિત હતો. શીખ તરીકે, તેઓ ઝટકા માંસ પીરસવાનું પસંદ કરે છે જેમાં જે તે પ્રાણીને એક જ ઝટકો મારીને મારી નાખવામાં આવે છે. જ્યારે ઇસ્લામિક હલાલ પધ્ધતિમાં અલ્લાહનું નામ લેતા જે તે પ્રાણીની ગરદન પર ધીમે ધીમે છરો ફેરવી પ્રાણીનું લોહી વહાવવામાં આવે છે. ધીમે ધીમે કરવામાં આવતી હત્યાથી જે તે પ્રાણીને વધુ તકલીફ થાય છે તેવી દલીલ સાથે અમુક હિન્દુઓ અને શીખો હલાલ માંસ ખાતા નથી.
કપૂરે દાવો કર્યો હતો કે ‘’તેમની આ નીતિના કારણે ધમકીભર્યા સંદેશાઓ, ઓનલાઈન પોસ્ટ, નકલી રીવ્યુઝ સહિતના પડઘા પડ્યા હતા. તાજેતરના અઠવાડિયામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી અને રેસ્ટોરન્ટની આસપાસ તણાવ વધી રહ્યો છે.’’
14 માર્ચે જ્યારે કપૂરે સોશિયલ મીડિયા પર “બિન-હલાલ મીટઅપ” તરીકે પોતાના રેસ્ટોરંટનો પ્રચાર કરતા રંગરેઝની બહાર લોકોની ભીડ એકઠી થઈ ત્યારે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો. X પર શેર કરેલી એક પોસ્ટમાં, તેમણે સમર્થકોને રેસ્ટોરન્ટમાં ભેગા થવા આમંત્રણ આપ્યું હતું અને તેમને કોઈપણ “મુશ્કેલી ઉભી કરનારા” લોકોની ડોક્યુમેન્ટરી બનાવવા માટે રેકોર્ડિંગ સાધનો લાવવા કહ્યું હતું.
ઓનલાઈન ફરતા વીડિયોમાં રેસ્ટોરંટની બહાર મોટી ભીડ દેખાઈ હતી અને કપૂરે બાદમાં આ દ્રશ્યને ધમકીભર્યું ગણાવી તેના ફૂટેજ પોસ્ટ કર્યા હતા અને કહ્યું હતું કે તેમણે પોતાના પરિવારને બચાવવા માટે પોતાનું કિરપાણ ધારણ કર્યું હતું.
તણાવ વધતાં પોલીસને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી અને ભીડ વિખેરાઈ ગઈ ત્યારે કપૂરની અટકાયત કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસ સર્વિસે હજુ સુધી ધરપકડના ચોક્કસ સંજોગો જાહેરમાં સ્પષ્ટ કર્યા નથી અથવા પુષ્ટિ કરી નથી કે કોઈ આરોપો દાખલ કરવામાં આવ્યા છે કે નહીં.
કપૂરે આરોપ લગાવ્યો છે કે કિરપાણ ધારણ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુકેના કાયદા હેઠળ, શીખોને ધાર્મિક કારણોસર વિધિવત કીરપાણ ધારણ કરવાની પરવાનગી છે, જોકે તે કયા સંજોગોમાં પહેરવામાં આવે છે તે હજુ પણ પોલીસ મૂલ્યાંકનને આધીન હોઈ શકે છે.
હલાલ માંસ નહિં પીરસવા અંગે તેમના સમર્થકો દલીલ કરે છે કે કપૂર તેમની ધાર્મિક સ્વતંત્રતાનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમની રેસ્ટોરંટમાં કયું ભોજન પીરસવું તે નક્કી કરવા સક્ષમ હોવા જોઈએ. જ્યારે ટીકાકારો કહે છે કે હલાલ કતલ અને મુસ્લિમો વિશેની તેમની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ ઉશ્કેરણીજનક હતી જેણે વધતા તણાવમાં ફાળો આપ્યો હશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સોશિયલ મીડિયા પર ટીકાકારોએ આ ઘટનાને બ્રિટનમાં ધાર્મિક આવાસ, વાણી સ્વતંત્રતા અને બહુસાંસ્કૃતિકતા વિશે વ્યાપક ચર્ચાના ભાગ રૂપે રજૂ કરી છે.
કપૂરે આ અગાઉ વધતા ખર્ચ અને રેસ્ટોરન્ટની આસપાસ ચાલી રહેલી અશાંતિને કારણે રંગરેઝ રેસ્ટોરંટને દોઢ દાયકાથી વધુ સમય ચલાવ્યા બાદ બંધ કરવાની યોજનાની જાહેરાત કરી હતી.













