હેરોમાં હોળી પર્વની ઉજવણી કરતા હિન્દુઓ પર હુમલો કરાયા બાદ શુક્રવાર તા. 13 માર્ચના રોજ સ્થાનિક પોલીસ દ્વારા આયોજિત “નફરત અને વિભાજન સામે એકસાથે ઊભા રહો” શીર્ષક હેઠળ હેરોમાં વિવિધ ધાર્મિક પરંપરાઓના 35 થી વધુ ધાર્મિક નેતાઓની ખાસ ‘ઇન્ટરફેઇથ રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન કરાયું હતું. બીજી કરફ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકેએ હોળીના કાર્યક્રમ પર થયેલા હુમલા અંગે સઘન તપાસ કરવા અને હિન્દુઓના કાર્યક્રમો માટે મજબૂત સુરક્ષાની માંગ કરી હતી.

‘ફેઇથ પાવર અવર’ નામની આ પહેલ લંડન બરો ઓફ હેરોમાં મેટ્રોપોલિટન પોલીસ સર્વિસના સુપરિન્ટેન્ડેન્ટ અને સ્થાનિક પોલીસિંગ લીડ ઝુબિન રાઈટર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ખ્રિસ્તી સંપ્રદાયો, હિન્દુ મંદિરો, સિનાગોગ, મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થાનોના પ્રતિનિધિઓ એકત્ર થયા હતા જે બરોની સમૃદ્ધ ધાર્મિક વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.

સુપરિન્ટેન્ડેન્ટ રાઈટરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જોડાયેલા સૌનો સંદેશ સ્પષ્ટ હતો કે હેરોનો સમગ્ર સમુદાય તમામ સ્વરૂપોમાં નફરત અને વિભાજન સામે એક સાથે ઉભો છે, જે સ્થાનિક પોલીસિંગમાં વિશ્વાસને મજબૂત બનાવે છે.

/* */

ઉપસ્થિત અગ્રણીઓમાં સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરના પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજી, ઇન્ટરફેઇથના અધ્યક્ષ ગોપાલ બચુ, યુરોપના ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડ્સના પ્રમુખ માલ્કમ ડેબૂ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને મુસ્લિમ સમુદાયો અને વિવિધ ધર્મ જૂથોના નેતાઓ હતા. સમુદાયના નેતાઓએ સામૂહિક કાર્યવાહી અને સંવાદના મહત્વ પર ભાર મૂક્યો હતો કે ધાર્મિક જૂથો વચ્ચેની એકતા હેરોના બહુસાંસ્કૃતિક સમાજમાં સંવાદિતા અને સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી યુકેએ લંડનમાં ભારતના હાઈ કમિશનરને પત્ર લખીને 3 માર્ચના રોજ હેરોમાં હોલિકા દહન દરમિયાન થયેલા ખલેલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી આ અંગે સંપૂર્ણ તપાસ થાય, જવાબદારો સામે કાર્યવાહી કરાય અને યુકેમાં ભારતીય ડાયસ્પોરાના સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો માટે મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય રાજદ્વારી કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

પત્રમાં જણાવાયું હતું કે “યુકેમાં હિન્દુ મંદિરો, ધાર્મિક કાર્યક્રમો અને સામાજીક સંસ્થાઓ માટે સુરક્ષાના વ્યાપક મુદ્દા પર યુકે સરકાર સાથે ચર્ચા કરવામાં આવે. યુકેમાં કેટલીક ધાર્મિક સંસ્થાઓને અપાતી સુરક્ષા સહાય સામે નફરતની ઘટનાઓનો સામનો કરી રહેલા હિન્દુ મંદિરો અને સંગઠનો માટે તુલનાત્મક રક્ષણ અને ભંડોળ મર્યાદિત છે. મિડલેન્ડ્સ અને લેસ્ટરના ભાગોમાં હિન્દુ સમુદાયોને અસર કરતા અગાઉના તણાવને કારણે આ મુદ્દો ખાસ કરીને સંવેદનશીલ બન્યો છે.”