રાજકીય વિવાદ ઊભો થાય તેવી એક હિલચાલમાં મોદી સરકારે મુખ્ય વિરોધ પક્ષ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને નવી દિલ્હી ખાતેની તેની 48 વર્ષ જૂની લુટિયન્સ વિસ્તારની ઓફિસ ખાલી કરવા નોટિસ આપી છે. કોંગ્રેસના સ્ત્રોતોના જણાવ્યા અનુસાર પાર્ટીને 24, અકબર રોડની ઓફિસ શનિવાર સુધી ખાલી કરવા કહેવામાં આવ્યું છે.
અકબર રોડની ઓફિસ લગભગ 48 વર્ષ સુધી કોંગ્રેસનું હેડક્વાર્ટર રહી હતી. ગયા વર્ષે પાર્ટીએ કોટલા માર્ગ પર પોતાનું નવું હેડક્વાર્ટર “ઇન્દિરા ભવન” શરૂ કર્યું હતું, પરંતુ હજુ સુધી અકબર રોડની ઓફિસ ખાલી કરી નથી અને ત્યાં પાર્ટીની પ્રવૃત્તિઓ ચાલુ છે.
કોંગ્રેસને 5, રાઇસિના રોડ પર આવેલ ઇન્ડિયન યુથ કોંગ્રેસની ઓફિસ ખાલી કરવાની નોટિસ અપાઈ છે. પાર્ટી આ મામલે રાહત મેળવવા કાનૂની વિકલ્પો પર વિચારણા કરી રહી છે. ગયા વર્ષે સોનિયા ગાંધીએ નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે અનેક નેતાઓએ જણાવ્યું હતું કે 24, અકબર રોડ ઓફિસ સાથે તેમનો ભાવનાત્મક સંબંધ હંમેશા રહેશે.












