પશ્ચિમ એશિયાના સંકટને ઉકેલવા માટે ભારત સંવાદ અને રાજદ્વારી માધ્યમોની હિમાયત કરતું હોવા પર ભાર મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે કોમર્શિયલ જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપ અસ્વીકાર્ય છે. સરકાર તેલ અને ગેસની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ દેશોના સપ્લાયર્સ સાથે સંપર્કમાં છે.
લોકસભામાં એક નિવેદનમાં મોદીએ જણાવ્યું હતું કે યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં દરેક ભારતીયને શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે. તેમણે પશ્ચિમ એશિયાઈ દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે વાતચીત કરી છે અને તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. ઇંધણની અછતની આશંકાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે સરકાર વિવિધ દેશોના સપ્લાયર્સ સાથે સતત સંપર્કમાં છે, જેથી શક્ય હોય ત્યાંથી તેલ અને ગેસનો પુરવઠો ચાલુ રહે. દેશના તમામ પાવર પ્લાન્ટમાં કોલસાનો પૂરતો સ્ટોક છે અને ભારત ખાદ્ય સુરક્ષાની દ્રષ્ટિએ સારી રીતે તૈયાર છે.
મોદીએ જણાવ્યુ હતું કે ભારતે હંમેશા માનવતાના હિતમાં શાંતિ માટે અવાજ ઉઠાવ્યો છે. સંવાદ અને રાજદ્વારી આ સમસ્યાનો ઉકેલ છે. અમારા પ્રયાસોનો ઉદ્દેશ્ય તણાવ ઘટાડવા અને આ સંઘર્ષનો અંત લાવવાનો છે. યુદ્ધ માનવતાના હિતમાં નથી. તેથી ભારતનો પ્રયાસ તમામ પક્ષોને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે વાણિજ્યિક જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટ જેવા જળમાર્ગોમાં વિક્ષેપો અસ્વીકાર્ય છે. રાજદ્વારી માધ્યમ દ્વારા ભારત ભારતીય જહાજોની સલામત અવરજવર સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.
પશ્ચિમ એશિયા સંઘર્ષને ચિંતાજનક ગણાવીને મોદીએ જણાવ્યું હતું કે આ કટોકટીથી આર્થિક, રાષ્ટ્રીય સુરક્ષા અને માનવતાવાદી પાસાઓ સામે પડકારો ઊભા થયા છે. પશ્ચિમ એશિયા ભારત માટે મહત્વપૂર્ણ છે કારણ કે લગભગ એક કરોડ ભારતીયો ખાડી દેશોમાં રહે છે અને કામ કરે છે. આ સમુદ્રોમાં ફરતા વ્યાપારી જહાજોમાં, ભારતીય ક્રૂ સભ્યોની સંખ્યા પણ ખૂબ વધારે છે.
ભારતમાં ૫.૩ મિલિયન મેટ્રિક ટનથી વધુ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર છે અને દેશ ૬.૫ મિલિયન મેટ્રિક ટનથી વધુ વધારાના સંગ્રહ માટે વ્યવસ્થા પર પણ કામ કરી રહ્યું છે.













