રામનવમી
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં રામલલાના લલાટ પર સૂર્યતિલક સાથે ગુરુવાર, 27 માર્ચે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. (@ShriRamTeerth/X via PTI Photo)

અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરમાં રામલલાના લલાટ પર સૂર્યતિલક સાથે ગુરુવાર, 27 માર્ચે રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ‘સૂર્યતિલક’ થયું ત્યારે એક અદભૂત અને અલૌકિક દ્રશ્ય જોવા મળ્યું હતું. મંદિરમાં ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલાનું આ બીજું સૂર્યતિલક હતું, જેમાં સૂર્યના કિરણો સીધા પ્રભુના લલાટ પર પડ્યાં હતાં. લગભગ 4 મિનિટ સુધી રામલલાના મસ્તક પર સૂર્યની કિરણો ચમકતાં રહ્યાં હતા અને તેનાથી ભક્તો ભાવવિભોર થયા હતાં.

પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામ સૂર્યવંશી હતા. તેથી સૂર્ય તિલકની પરંપરા છે. સૂર્યતિલકની આ પ્રક્રિયા માટે વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો અદભૂત સમન્વય કરાયો છે. અષ્ટધાતુના 20 પાઈપની મદદથી 65 ફૂટ લાંબી એક ખાસ સિસ્ટમ તૈયાર કરાઈ હતી, જેમાં 4 લેન્સ અને 4 અરીસા દ્વારા સૂર્યપ્રકાશને ગર્ભગૃહ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ ખાસ ક્ષણે ગર્ભગૃહમાં 14 પૂજારીઓ હાજર રહ્યા હતાં અને વિશેષ પૂજા બાદ ભવ્ય આરતી કરાઈ હતી.

રામનવમીના પ્રસંગે અયોધ્યામાં લગભગ 10 લાખ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન માટે ઉમટી પડ્યા હતો. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં પણ વધારો કરાયો હતો. રામનવમીના પવિત્ર અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રી રામલલાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આયોજિત ભવ્ય ‘સૂર્યતિલક’ના દિવ્ય દ્રશ્યોના તેઓ સાક્ષી બન્યા હતાં.

દર વર્ષે રામ નવમીએ અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન રામ લલ્લાના કપાળ પર સૂર્યના કિરણ પાડવા માટે સૂર્ય તિલક નામની એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આ સમગ્ર સિસ્ટમમાં લેન્સ અને અરીસાઓના જટિલ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. ચૈત્ર મહિનાની નોમ ભગવાન રામનો જન્મદિન છે. સૂર્ય તિલક સિસ્ટમ CSIR-સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ના વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરાઇ છે. તે બપોરે 12 વાગ્યાથી લગભગ છ મિનિટ સુધી રામ લલ્લાની મૂર્તિના કપાળ પર સૂર્યના કિરણને વાળશે.