ઈશ્વર બી. પટેલ માટે, સમુદાયની સેવા ક્યારેય એક રોલ રહ્યો નથી – તે હરહંમેશ, જીવનભરનું એક આહવાન રહ્યું છે. કેલિફોર્નિયામાં તેમના વિદ્યાર્થીકાળથી લઈને ટેનેસીના સૌથી આદરણીય હિન્દુ મંદિરોમાંના એકની સ્થાપના કરવામાં મદદ કરવા સુધી, ઈશ્વરભાઇ તેમની યાત્રા સમર્પણ, શ્રદ્ધા અને ભાવિ પેઢીઓ માટે સાંસ્કૃતિક મૂળને સાચવવા માટેની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
શ્રી ઈશ્વરભાઇ પટેલનું સમુદાયના નેતૃત્વમાં જોડાણ 1970ના દાયકાની શરૂઆતમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી, ડેવિસમાં અભ્યાસ કરતી વખતે શરૂ થયું હતું. ઇન્ડિયન સ્ટુડન્ટ એસોસિએશનના એન્ટરટેઇનમેન્ટ સેક્રેટરી તરીકે, તેમણે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા લોકોને એકસાથે લાવવાની શક્તિમાં બળ જોયું હતું. ઈશ્વરભાઇ કહે છે કે “તે અનુભવે સમાજ સેવા માટેના મારા જીવનભરના જુસ્સા માટેના બીજ રોપ્યા હતા.”
ટેનેસી ગયા પછી, તેમના આ જુસ્સાએ નક્કર આકાર લીધો હતો. 1983માં, તેમણે ગુજરાતી સમાજ ઓફ ઈસ્ટ ટેનેસી (GSET) ની સ્થાપના કરવામાં મદદ કરી હતી. આ સંસ્થા આ પ્રદેશમાં વધતા ભારતીય ડાયસ્પોરાને ટેકો આપવા અને એક કરવા માટે બનાવવામાં આવેલી એક નોન પ્રોફિટ સંસ્થા છે. 1988 સુધી તેના સ્થાપક પ્રમુખ તરીકે અને પછી ટ્રસ્ટી તરીકે સેવા આપતા, શ્રી ઈશ્વરભાઇ પટેલે સમુદાયના બંધનોને મજબૂત બનાવતા સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ઈશ્વરભાઇ કહ્યું હતું કે ‘’મારી પ્રેરણા પાછળ આપણો ધર્મ જાળવી રાખવા અને સમુદાયની સેવા કરવાની ઇચ્છા જવાબદાર હતી. GSET ના કોમ્યુનિટી સેન્ટર માટે અમે 1994માં ચર્ચ સ્કૂલની ફેસેલીટીઝ હસ્તગત કરી, ત્યારે મને તે જગ્યાને એક મંદિરમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવાની જવાબદારીનો અહેસાસ થયો હતો, જ્યાં અમારા પરિવારો સાથે મળીને પૂજા કરી શકે. પ્રથમ નવરાત્રી ગરબા દરમિયાન, મેં સાથી ટ્રસ્ટીઓ સાથે મળીને પ્રખ્યાત આધ્યાત્મિક નેતા પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ની ભાગવત કથાનું આયોજન કર્યું હતું. તેણે અમારા સમુદાયને એક કરવા સાથે અમારા દ્રષ્ટિકોણને વાસ્તવિકતા બનાવવા માટે જરૂરી ભંડોળ એકત્ર કરવામાં મદદ કરી હતી. સમાજને આવી ભક્તિ સાથે એક થતો જોઈને મને એક નવા સાહસિક દ્રષ્ટિકોણ સાથે નેતૃત્વ ચાલુ રાખી કાયમી હિન્દુ મંદિરની સ્થાપના કરવાની પ્રેરણા મળી હતી. મને ખાતરી થઇ હતી કે આપણી પરંપરાઓ અને મૂલ્યોને ભવિષ્યની પેઢીઓ માટે આગળ ધપાવવવાની આ શ્રેષ્ઠ ઉપાય છે.’’
ઈશ્વરભાઇએ જણાવ્યું હતું કે ‘’1996માં ચટ્ટાનૂગામાં જૂની ચર્ચ સ્કૂલનું રીફર્બીશમેન્ટ કર્યા પછી સનાતન મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. પૂજ્ય ભાઈશ્રી અને પૂજ્ય ચિદાનંદ સરસ્વતી (મુનિજી)ના આશીર્વાદ અને માર્ગદર્શનથી અમે મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરી લાંબા સમયથી ચાલતું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. શરૂઆતથી જ, અમારું ધ્યેય એક એવા સ્થળનું નિર્માણ કરવાનું હતું જ્યાં સૌ સભ્યો ભક્તિ, પૂજા, પ્રાર્થના કરી શકે, સવાર અને સાંજની આરતીમાં હાજરી આપી શકે અને હિન્દુ તહેવારો સાથે મળીને ઉજવી શકે. આ મંદિર ટૂંક સમયમાં જ પૂજા, શિક્ષણ અને સાંસ્કૃતિક જાળવણી માટેનું એક પવિત્ર સ્થળ બની ગયું હતું. અમારો હેતુ મંદિરના મુખ્ય મૂલ્યો, ભગવાન પ્રત્યેની ભક્તિ, હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન, સમુદાયના સભ્યોમાં એકતા અને ભવિષ્યની પેઢીઓને આપણો વારસો સોંપવાનો છે.’’
ઈશ્વરભાઇએ જણાવ્યું હતું કે ‘’સનાતન મંદિરનું મિશન તેની સ્થાપનાથી જ સ્પષ્ટ રહ્યું છે: ભગવાન પ્રત્યેની ભક્તિ, હિન્દુ પરંપરાઓનું જતન, સમુદાયની એકતા અને ભાવિ પેઢીઓને સાંસ્કૃતિક મૂલ્યો પહોંચાડવા. દૈનિક આરતી, મુખ્ય હિન્દુ તહેવારો, કથાઓ અને પ્રવચનો મંદિરને સો કોઇના જીવનની કરોડરજ્જુ બનાવે છે. વર્ષોથી, મંદિર એક આધ્યાત્મિક ઘર અને સમગ્ર પ્રદેશમાં હિન્દુ પરિવારો માટે એક જીવંત સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિકસિત થયું છે.’’
તેમણે કહ્યું હતુ કે ‘’મંદિરની સૌથી મહત્વપૂર્ણ જવાબદારીઓમાંની એક બાળકો અને યુવાનોને જોડવાની રહી છે. 5થી 12 વર્ષના બાળકો નિયમિતપણે હનુમાન ચાલીસાનું નેતૃત્વ કરે છે, પૂજા અને હવનમાં ભાગ લે છે અને વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન શાસ્ત્રીય અને લોકનૃત્ય કરે છે. આ પ્રવૃત્તિઓ અમેરિકામાં ઉછરતી યુવા પેઢીને તેમના વારસા, ધર્મ અને સંસ્કાર સાથે જોડાયેલા રહેવામાં મદદ કરે છે.”
સનાતન મંદિરનું કેલેન્ડર મહા શિવરાત્રી અને રામ નવમીથી લઈને નવરાત્રી, દિવાળી અને ગણેશ ચતુર્થી સહિતના અઢળક ઉત્સવો અને ઉજવણીઓથી ભરેલું છે. આ કાર્યક્રમો સેંકડો ભક્તોને આકર્ષે છે, મંદિરના સ્વયંસેવકો 1,200 લોકોના મેળાવડા માટે મહાપ્રસાદ તૈયાર કરે છે. મંદિરના પૂજારીઓ મંદિરમાં અને સભ્યોના ઘરોમાં કથા, સત્સંગ અને ધાર્મિક સેવાઓ પૂરી પાડે છે, જે વ્યક્તિગત અને આધ્યાત્મિક જોડાણોને મજબૂત બનાવે છે.

પૂજા ઉપરાંત, મંદિર એક મહત્વપૂર્ણ સામાજિક ભૂમિકા ભજવે છે. મહિલાઓ માસિક ભજન માટે અકત્ર થાય છે, વરિષ્ઠ લોકો સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફરવા માટે ભેગા થાય છે, અને સમુદાય મુશ્કેલ સમયમાં સભ્યોને ટેકો આપવા માટે એકત્ર થાય છે. શૈક્ષણિક અને ચેરીટી પહેલમાં યુવાનો માટે ગુજરાતી ભાષાના વર્ગો ઉપરાંત સંસ્થાના મેમ્બર્સ ફાર્માસિસ્ટ દ્વારા વાર્ષિક ધોરણે મફત ફ્લૂ રસી પણ આપવામાં આવે છે.
ઘણી ડાયસ્પોરા સંસ્થાઓની જેમ, મંદિરે પણ અમેરિકામાં જન્મેલી પેઢીઓને જોડવા સહિત ઘણાં પડકારોનો સામનો કર્યો છે. જો કે સૌ પ્રોત્સાહક પ્રગતિ જુએ છે અને બીજી પેઢીના વધુ પરિવારો તેમના બાળકો સાથે મંદિરમાં આવે છે. પૂજ્ય ભાઈશ્રીની સાંદીપની વિદ્યાપીઠમાં તાલીમ પામેલા પ્રતિભાશાળી નવા પૂજારીના આગમનને પણ ઘણો શ્રેય જાય છે.
મંદિરનો આ વિકાસ નવા પડકારો લઈને આવ્યો છે. નવા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરના નિર્માણ પછી સભ્યોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે, તેથી જગ્યાની મર્યાદા એક નવો મુદ્દો બની રહ્યો છે. હવે મંદિરની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક ભવિષ્યના વિસ્તરણનું આયોજન છે.
સનાતન મંદિર પારદર્શક શાસન માળખા હેઠળ કાર્ય કરે છે, જેનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે અને સક્રિય કારોબારી સમિતિ તેને સમર્થન આપે છે. નિયમિત નાણાકીય સમીક્ષાઓ અને વાર્ષિક સામાન્ય સભાઓ આ જવાબદારી અને સમુદાયના જોડાણને સુનિશ્ચિત કરે છે. ચટ્ટાનૂગામાં જ આવેલ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર અને સનાતન મંદિરના ઘણા સભ્યો એકબીજાના કાર્યક્રમોમાં ભાગ લે છે.
નિવૃત્ત ટ્રસ્ટી અને સ્થાપક સભ્ય તરીકે, શ્રી ઇશ્વરભાઇ પટેલ તેમના વારસા પર નમ્રતા સાથે જણાવે છે કે “મને આશા છે કે મારું યોગદાન સતત પ્રગતિ, એકતા અને દૈનિક પૂજામાં ભાગીદારીમાં વધારો તરફ દોરી જશે. આગળ અમારૂ સૌનું વિઝન સ્પષ્ટ છે: યુવા નેતાઓ દ્વારા આત્મવિશ્વાસપૂર્વક મંદિરનું સંચાલન થાય, મજબૂત સભ્યપદ રહે અને સમર્પિત પૂજારીઓના સહકારથી સૌ સુમેળ અને સહિયારા મૂલ્યો સાથે આગળ વધે.
ઈશ્વરભાઇ સનાતન મંદિર એક ઇમારત કરતાં વધુ છે – તે શ્રદ્ધા, સેવા અને સમુદાયનું જીવંત પ્રતીક છે, જે આવનારી પેઢીઓને માર્ગદર્શન આપવા માટે બનાવવામાં આવ્યું છે. તેમણે 1980ના દાયકા દરમિયાન કેટલીક સંસ્થાઓની એક્ઝિક્યુટિવ કમિટીમાં સેવા આપી હતી. તેઓ લેઉવા પાટીદાર સમાજ ઓફ યુએસએના ચિફ એડિટર, મિડ સાઉથ ઈન્ડેમનિટી એસોસિએશનના એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય, સાઉથ ઈસ્ટ હોસ્પિટાલિટી ગ્રુપ, ઇન્ક. (SEHGI) ના પ્રમુખ રહી ચૂક્યા છે.














