ભારતની સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ તાજેતરમાં નવી એડવાઇઝરી જારી કરી હોટલ અને રેસ્ટોરન્ટને ફૂડ બિલ પર LPG ચાર્જ, ગેસ સરચાર્જ અથવા આવા પ્રકારની વધારાના ફી ન વસૂલવાની તાકીદ કરી છે અને આવા વધારાના ચાર્જ વસૂલતી હોટેલો સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી.
રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇનમાં સંખ્યાબંધ ફરિયાદો તથા કેટલીક હોટેલો દ્વારા ‘ઇંધણ ખર્ચ વસૂલાત’ અથવા ‘ગેસ કટોકટી ચાર્જ’ વસૂલવામાં આવતા હોવાના મીડિયા અહેવાલો પછી ઓથોરિટી સક્રિય બની છે.
એડવાઇઝરીમાં ગ્રાહક સુરક્ષા ઓથોરિટીએ જણાવ્યું હતું કે આવી ફી ગ્રાહક સુરક્ષા ધારા 2019 હેઠળ અન્યાયી વેપાર પ્રથા છે. અયોગ્ય વેપાર પ્રથાઓને રોકવા અને આવા ચાર્જ વસૂલવાના સંદર્ભમાં ગ્રાહક હિતોનું રક્ષણ કરવા માટે એવી તાકીદ કરવામાં આવે છે કે કોઈપણ હોટેલ અથવા રેસ્ટોરન્ટ બિલમાં LPG ચાર્જ, ગેસ સરચાર્જ, ઇંધણ ખર્ચ વસૂલાત, ગેસ કટોકટી ચાર્જ અથવા આવા કોઈપણ ચાર્જ વસૂલી શકશે નહીં.
એડવાઇઝરીમાં જણાવ્યા મુજબ LPG, વીજળી અને અન્ય કાચા માલ જેવા સંચાલકીય ખર્ચ બિઝનેસ ચલાવવાના ખર્ચનો એક હિસ્સો છે અને તેનો સમાવેશ ફૂડ આઇટમના ભાવમાં કરવો જોઇએ. તેના માટે અલગથી ચાર્જ વસૂલ કરી શકાય નહીં. ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકાય નહીં અથવા કોઈપણ વધારાના ચાર્જ ચૂકવવા માટે દબાણ કરી શકાય નહીં.
CCPAએ જણાવ્યું હતું કે મેનુમાં દર્શાવેલ કિંમત લાગુ કર સિવાય વસ્તુની અંતિમ કિંમત હોવી જોઈએ. રેસ્ટોરન્ટ્સ બિલમાં આપમેળે અથવા ડિફોલ્ટ રૂપે આવા ચાર્જ લાદી શકાતા નથી. ઓથોરિટીએ ચેતવણી આપી હતી કે લાગુ પડતા ટેક્સ સિવાય મેનુમાં દર્શાવેલ કિંમતથી વધુ કંઈપણ વસૂલવાને અન્યાયી વેપાર પ્રથા ગણવામાં આવશે અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.













