યુએસએના સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય કોન્સ્યુલ જનરલ ડૉ. કે. શ્રીકર રેડ્ડીએ 27 માર્ચ, 2026 ના રોજ ડેનવરમાં યોજાયેલા એક કોમ્યુનિટી રીસેપ્શનમાં કોલોરાડોના જીવંત ભારતીય ડાયસ્પોરા અને અગ્રણી સામાજીક નેતાઓ સાથે વાતચીત કરી હતી.

સેવા ઇન્ટરનેશનલ, યુએસએ દ્વારા શ્રી અતુલ સૈની અને રંગા વિંજામુરીના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં 50 કરતા વધુ સમુદાયના સભ્યો સંવાદ અને જોડાણની સાંજ માટે ભેગા થયા હતા.
કોન્સ્યુલ જનરલ શ્રી રેડ્ડીએ પોતાના ભાષણમાં ભારતીય અમેરિકનોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકી તેમની સખત મહેનત, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા માટે તેમના નોંધપાત્ર યોગદાન અને પ્રતિષ્ઠાની સરાહના કરી હતી. તેમણે ભારતની પ્રગતિ અને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના વિઝન પર પણ પ્રકાશ પાડી ડિજિટલ પરિવર્તનમાં પ્રગતિ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમમાં સેવા ઇન્ટરનેશનલના રાષ્ટ્રીય બોર્ડ સભ્ય શ્રીધર તલંકી; નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત અને ચીઝ ઇનોવેટર ડૉ. એમ.એસ. રેડ્ડી, પ્યુબ્લોના ડૉ. જયસિંહા સુંકુ સહિત કોલોરાડોના વિવિધ મંદિરો, સાંસ્કૃતિક અને પ્રોફેશનલ સંગઠનો, સામાજીક સંસ્થાઓ – જૂથો અને ઉદ્યોગસાહસિક નેતાઓ સહિત અસંખ્ય ભારતીય ડાયસ્પોરા સંગઠનોના નેતાઓ હાજર રહ્યા હતા.
સાંજના અંતે રસપ્રદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ યોજાયો, જેમાં ડાયસ્પોરા સાથેના સંબંધો મજબૂત થયા હતા અને સહયોગને પ્રોત્સાહન મળ્યું હતું.














