વોટફોર્ડ સ્થિત ભક્તિવેદાંત મેનોર ખાતે ગુરુવાર તા. 26 માર્ચના રોજ રામ નવમી ઉત્સવનું આયોજન કકરવામાં આવ્યું હતું. શાંતિ અને આધ્યાત્મિક વારસાની ગહન ભાવના વચ્ચે ભગવાન રામના જન્મની ઉજવણીના દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમમાં ભક્તો, રાજકીય અગ્રણીઓ અને સમુદાયના નેતાઓ જોડાયા હતા.
આ ઉત્સવમાં કાળજીપૂર્વક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ‘કલ્યાણ રામ’ નામના ભવ્ય ભરતનાટ્યમ નૃત્ય પ્રદર્શન અને શ્રી કૃષ્ણ હવેલીમાં રામ શિલાનો પરંપરાગત અભિષેક (ઔપચારિક સ્નાન) સૌને ખૂબજ પસંદ આવ્યા હતા. હજ્જારો લોકો ઉમટી પડતા મેનોરના દરવાજાથી લઇને વોટફર્ડ ટાઉન સેન્ટર સુધી વાહનોની કતાર જામી હતી.
VIP ગેસ્ટ લાઉન્જમાં, વિવિધ ધર્મો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ભગવાન રામના ફરજ અને નૈતિકતાના ઉપદેશોની આધુનિક સુસંગતતા પર ચર્ચા કરવા માટે એકઠા થયા હતા. તો મુખ્ય મંચ પરથી રામાયણ, 2026માં આદર્શ નેતૃત્વ અને કૌટુંબિક મૂલ્યો માટે એક બ્લુપ્રિન્ટ કેવી રીતે રજૂ કરે છે તે વિષે જાણકારી આપવામાં આવી હતી.
ઉજવણીનો અંત એક શાનદાર સાંજના કાર્યક્રમ સાથે થયો હતો. જેમાં શ્રી સીતા રામ લક્ષ્મણ હનુમાનને ફૂલો અર્પણ કરાયા હતા તો પરંપરાગત શાકાહારી બફે પ્રસાદનો લાભ લેવાયો હતો.
યુકેના હિન્દુ સમુદાય માટે પાયાના પથ્થર તરીકે સેવા આપનાર મંદિરના પ્રમુખ હર ગ્રેસ વિશાખા દાસી તથા યજમાન રાધા મોહન દાસની કાર્યક્રમના આયોજન બદલ પ્રશંસા કરવામાં આવી હતી.














