ભાજપના 47મા સ્થાપના દિનના એક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા (UCC) અને ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ભાજપના બે અધૂરા એજન્ડા છે. તેના પર ગંભીર ચર્ચાઓ થઈ રહી છે અને સકારાત્મક પ્રગતિ થઈ છે.
મોદીએ જણાવ્યું હતું કે ભાજપે સૌપ્રથમ ૧૯૯૪માં મહિલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભાજપની આગેવાની હેઠળની હાલની કેન્દ્ર સરકાર ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીઓમાં મહિલા અનામત કાયદો લાગુ કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આનાથી મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા અનામત મળશે.
કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના શાસનમાં કટોકટી અને જુલમ જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. ભાજપના ઘણા કાર્યકરોએ પોતાના જીવનું બલિદાન પણ આપ્યું છે. પશ્ચિમ બંગાળ અને કેરળ રાજ્યોમાં હિંસાને રાજકીય સંસ્કૃતિમાં ફેરવી દેવામાં આવી છે. અમારું મિશન હજુ પણ ચાલુ છે. સમાન નાગરિક સંહિતા, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને અન્ય મુદ્દાઓ પર દેશમાં ગંભીર ચર્ચાઓ થઈ રહી છે અને અમે તે મોરચે જબરદસ્ત પ્રગતિ હાંસલ કરી છે.
મોદીએ કહ્યું હતું કે ભાજપનો ઉદ્દેશ્ય દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવાનો છે. અગણિત કાર્યો છે જે ભાજપના પ્રામાણિક પ્રયાસોનું પરિણામ છે. તેમાં બ્રિટિશ યુગના સેંકડો કાળા કાયદાઓનો અંત, નવા સંસદ ભવનનું નિર્માણ, સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામત, ટ્રિપલ તલાક પર પ્રતિબંધ, નાગરિકતા સુધારો કાયદો, અયોધ્યા રામ મંદિરનું નિર્માણનો સમાવેશ થાય છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે ભાજપ યુદ્ધના સમયમાં પણ ‘વસુધૈવ કુટુંબકમ’ના વિચારમાં માને છે.
ભાજપના સ્થાપના દિને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પાર્ટીના કાર્યકરો અને નેતાઓને દેશભરના લોકોને સંપૂર્ણ સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે જોડવા અને 2047 સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા હાકલ કરી હતી.













