અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાના આશરે દસ મહિના પછી મૃતકોના શોકગ્રસ્ત પરિવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR) અને બ્લેક બોક્સ ડેટા જાહેર કરવાનો અનુરોધ કર્યો હતો.
12 જૂન, 2025એ લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેડિકલ કોલેજ હોસ્ટેલ સંકુલ પર ક્રેશ થઈ હતી. તેમાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકો અને ક્રેશ સાઇટ પર 19 લોકોના મોત થયાં હતાં.
ગુજરાતભરમાંથી લગભગ 30 શોકગ્રસ્ત પરિવારો શનિવારે અમદાવાદમાં મળ્યાં હતાં અને વડાપ્રધાનને પત્ર લખીને આ દુર્ઘટના પાછળના સત્યતા ઉજાગર કરવા માટે CVR અને ‘બ્લેક બોક્સ’ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) ડેટા જાહેર કરવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “અમે જાણવા માંગીએ છીએ કે ક્રેશનું કારણ શું હતું અને શું કોઈ ટેકનિકલ સમસ્યા હતી.”
આ પત્રની નકલો એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB), ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ મોકલવામાં આવી હતી. પત્રમાં જણાવાયું હતું કે જો બ્લેક બોક્સનો ડેટા જાહેર કરી શકાય તેમ ન હોય તો તે ઓછામાં ઓછો પીડિતોના પરિવારો સાથે ખાનગી રીતે શેર કરવો જોઈએ.
આ દુર્ઘટનામાં પોતાનો 24 વર્ષનો પુત્ર ગુમાવનારા નિલેશ પુરોહિતે જણાવ્યું હતું કે “મારું ઘર હવે ખાલી લાગે છે. કોઈપણ વળતર આ ખાલીપો ભરી શકશે નહીં. અમને પૈસા નથી જોઈતા, અમે ફક્ત જાણવા માંગીએ છીએ કે શું થયું હતું.”
પોતાની માતા ગુમાવનારા વાસદના કિંજલ પટેલે મૃતકોનો સામાન મેળવવા માટે પરિવારોને મદદ કરવા માટે તાજેતરમાં એર ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી વેબસાઇટનો ઉપયોગ કરવાની મુશ્કેલીનું વર્ણન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “25,00થી વધુ વસ્તુઓ યાદી છે, પરંતુ ઇમેજ અસ્પષ્ટ છે. કંઈપણ શોધવું લગભગ અશક્ય છે.
AAIBએ ગયા વર્ષે જુલાઈમાં વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક તપાસ અહેવાલ સુપરત કર્યો હતો, અને દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠની આસપાસ જૂનમાં અંતિમ અહેવાલ સુપરત કરે તેવી શક્યતા છે.












