જાણીતા કથાકાર મોરારીબાપૂ સામે ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ અને પરિવારજનો અંગે ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ચોમેરથી વિરોધ ઉઠયો છે અને આહિર સમાજ તેમજ કૃષ્ણ ભક્તિ પરંપરામાં માનતા અન્ય સમાજ દ્વારા મોરારીબાપૂ માફી માગેની માંગ સાથે રજૂઆતો થઈ રહી છે ત્યારે રાજકોટમાં આહિર સમાજના ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ એક સાથે મોરચો ખોલી કલેકટરને આવેદન પાઠવીને બાપૂ દ્વારકાધિશને ચરણે શીશ ઝૂકાવી માફી માંગે નહિતર આંદોલન કરાશે તેવી ચિમકી ઉચ્ચારાઈ હતી.

આ દરમિયાન દ્વારકા પહોંચેલા મોરારી બાપુ પર હુમલો કર્યો હતો. મોરારી બાપુ કૃષ્ણ વિવાદને લઇને માફી માંગવા દ્ધારકા પહોંચ્યા હતા. તે દરમિયાન મંદિર ખાતે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલો કર્યો હતો. પબુભા માણેકે હુમલો કરતા સાંસદ પૂનમ બેન માડમે તેમને રોક્યા હતા.

એટલું જ નહી તેમણે મોરારી બાપુને ગાળો પણ આપી હોવાની ચર્ચા છે. મોરારી બાપુ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે સાંસદ પૂનમ માડમ પણ ત્યાં હાજર હતા. કાન્હા મંચ દ્ધારા આ બેઠક રાખવામાં આવી હતી. મહત્વનું છે કે મોરારી બાપુએ પોતાની એક કથામાં કૃષ્ણ ભગવાન અને તેમના ભાઇ બલરામને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ.

આ દરમિયાન પૂનમ માડમ સહિતના નેતાઓ ત્યાં હાજર હતા. આ પહેલા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતા, ભૂતપૂર્વ મહામંત્રી નાગદાનભાઈ ચાવડા તેમજ અન્ય આગેવાનો સાથે જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને ભૂતપૂર્વ કારોબારી ચેરમેન અર્જૂનભાઈ ખાટરીયા વિગેરે આજે સયુક્ત રીતે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને સુત્રોચ્ચાર સાથે દેખાવો કરાયા હતા અને મોરારી બાપૂને માફી માંગવા જણાવ્યું હતું. અગાઉ પણ મોરારી બાપુએ સ્વામીનારાયણ સંપ્રદાય વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી વિવાદ વહોર્યો હતો. જેમાં પાછળથી તેમણે સજળનેત્રે માફી પણ માગી હતી.