ભારતના 12 મુખ્ય બંદરોમાંથી એક, ગુજરાતના કચ્છના ખાતે આવેલું પંડિત દીનદયાળ બંદર કે જે અગાઉ કંડલા બંદર તરીકે પ્રચલિત હતું, ત્યાં માલસામાનના સંચાલનના કુલ જથ્થાનો આંકડો 100 MMTથી વધુ નોંધાયો છે.
દીનદયાળ બંદર દ્વારા કંડલા ખાતે 13.25 MMT પ્રવાહી માલસામાન અને 43.76 MMT સુકા માલસામાન તેમજ કન્ટેઇનરનું સંચાલન કરવામાં આવ્યું છે. આ બંદર દ્વારા વાડિનાર ખાતે 43.30 MMT માલસામાનનું (જેમાં ટ્રાન્સશિપમેન્ટ પણ સામેલ છે) પણ સંચાલન કરવામાં આવ્યું છે, આ સમય દરમિયાન કન્ટેનરાઇઝ્ડ માલસામાનનો જથ્થો 4.50 લાખ TEU ઓળંગી ગયો હોવાથી એકંદરે કુલ 100 MMTથી વધારે માલસામાનનું સંચાલન થયું છે. દીનદયાળ બંદર દ્વારા સંચાલન કરવામાં આવતી મુખ્ય ચીજોમાં ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ ઉત્પાદનો, કોલસો, મીઠું, ખાદ્ય તેલ, ખાતર, ખાંડ, લાકડું, સોયાબીન, ઘઉં છે.
જહાજ પરિવહન સમુદાય/ હિતધારકો સાથે બંદર દ્વારા અપનાવવામાં આવતા વપરાશકર્તાને અનુકૂળ અભિગમ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો લાવવા માટે તેમની સાથે સતત કરવામાં આવતા પરામર્શના કારણે સિદ્ધિ પ્રાપ્ત થઇ શકી હોવાનું કહી શકાય.
બંદરો, જહાજ અને જળમાર્ગ રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખ માંડવિયાએ દીનદયાળ બંદર દ્વારા હાથ ધરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, કોવિડના પડકારજનક સમયમાં આ ખરેખર એક મોટી સિદ્ધિ છે અને અર્થતંત્ર ફરી પાછું કોવિડ પહેલાંની સ્થિતિમાં પરત ફરી રહ્યું હોવાના નોંધનીય સંકેતો છે.