ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમન (ફાઇલ ફોટો) (Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને હત્યાના એક કેસમાં CBIની વિશેષ કોર્ટે સોમવારે આજીવન કેદની સજા ફટકારી હતી. રણજીત સિંહ હત્યાના કેસમાં હરિયાણાના પંચકુલાની વિશેષ CBI કોર્ટે ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમ અને 4 અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.. રામ રહીમ પર રૂ.31 લાખનો દંડ ફટકારાયો છે. વર્ષ 2002માં પૂર્વ ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાના મામલે 8 ઓક્ટોબરે દોષી ઠેરવાયા હતા. સજાની જાહેરાત પહેલા હરિયાણાના પંચકુલા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરતા ધારા-144 લાગુ કરાઈ હતી.

આ પહેલા તારીખ 12 ઓક્ટોબરે કોર્ટે ડેરા મેનેજર રણજીત સિંહની હત્યાના મામલે આ તમામને દોષી ઠેરવ્યા હતા. સજા મેળવનાર આ દોષીઓમાં ગુરમીત રામ રહીમ સિવાય કૃષ્ણ લાલ, જસબીર સિંહ, અવતાર સિંહ અને સબદિલ છે. આ પહેલા સીબીઆઈના વિશેષ પબ્લિક પ્રોસિક્યુટર એચપીએસ વર્માએ પંચકુલામાં કોર્ટની બહાર પત્રકારોને કહ્યું હતું કે સીબીઆઈ અને બચાવ પક્ષના વકીલોએ સજા પર દલીલો પૂરી કરી. કેટલાંક દોષીઓના વકીલે સમય માગતા કહ્યું કે તેઓ પ્રોસિક્યુશન પક્ષ તરફથી રખાયેલી કેટલીક વાતો પર વિચાર કરવા માગે છે. તેમની વિનંતી પર કોર્ટે મામલો તારીખ 18 ઓક્ટોબર સુધી સ્થગિત કરી દીધો હતો.

અહીં નોંધનીય છે કે જાતીય શોષણ કેસમાં 28 ઓગસ્ટ 2017એ ડેરા પ્રમુખ રામ રહીમને 20 વર્ષની સજા આપવામાં આવી હતી. પંચકૂલામાં CBI કોર્ટ દ્વારા ડેરામુખીને દોષી સાબિત કર્યા બાદ પંજાબ-હરિયાણા અને રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં ડેરાના અનુયાયી હિંસા પર ઉતરી આવ્યા હતા.