કોરોનાના કારણે ગુજરાતમાં જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ-https://iora.gujarat.gov.in/cov19_login.aspx તૈયાર કર્યુ છે.
આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમા જવાનો સમય બચશે અને સહાય તેમના બેંક એકાઉન્ટમાં સીધી જમા થશે.
મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આ પોર્ટલનું લોન્ચિંગ કરતા જણાવ્યું હતું કે, ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર Covid-19થી મૃત્યુ પામેલ વ્યક્તિના વારસદારને રૂ. ૫૦,૦૦૦/- ની સહાય (ex-gratia assistance) આપવાનું નક્કી કરાયુ છે. આ પોર્ટલ ઉપર મૃતકનું મરણ પ્રમાણપત્ર અને Covid -19 ના કારણે મૃત્યુના કોઇ પણ એક આધાર જેવા કે RTPCR, Rapid Antigen Test, Molecular ટેસ્ટ રિપોર્ટ, તબીબી સારવારના આધાર,  ફોર્મ 4 અથવા  4-A અપલોડ કરવાના રહેશે.
આ સિવાય વારસદારોનું સંમતિ દર્શાવતું સોગંદનામું અને બેંક ખાતાની વિગતો અપલોડ કરી ઓનલાઇન અરજી કરી શકાશે અને કરેલ અરજી અન્વયે દિન-૩૦માં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા કરાશે. હાલ જે રીતે અરજીઓ સ્વીકારવામાં આવે છે એ પ્રક્રિયા પણ ચાલુ રહેશે.