મિશન 2024ની તૈયારીમાં કરી રહેલા ભાજપે શનિવારે 15 રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓના નામ જાહેર કર્યા હતા. ભગવા પાર્ટીએ શુક્રવારે પૂર્વ મુખ્યપ્રધાનો વિજય રૂપાણી અને બિપ્લવ કુમાર દેબ તથા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને મહેશ શર્મા સહિતના સંખ્યાબંધ વરિષ્ઠ નેતાઓને પાર્ટીના સંગઠનના કામે લગાડ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પંજાબ-હરિયાણાના પ્રભારી બનાવાયા છે.

પાર્ટીએ તેના મહામંત્રી વિનોદ તાવડેને બિહારના નવા પ્રભારી બનાવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે નીતિશકુમારના જેડીયુએ સંબંધો તોડી નાંખતા ભાજપે બિહારમાં સત્તા ગુમાવવી પડી છે. બીજી તરફ બિહારના પૂર્વ પ્રધાન મંગલ પાંડને પશ્ચિમ બંગાળના પ્રભારી બનાવ્યા છે.

હરીશ દ્વિવેદીને બિહારના સહ-પ્રભારી તરીકે કામ ચાલુ રાખશે. પાર્ટીના આઇટી સેલના વડા અમિત માલવિયા પણ પશ્ચિમ બંગાળના સહ-પ્રભારી તરીકે ચાલુ રહેશે.

ભાજપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પક્ષે પ્રવક્તા સંબિત પાત્રાને સંગઠનમાં મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. સંબિત પાત્રાની આઠ ઉત્તરપૂર્વીય રાજ્યોના કોઓર્ડિનેટર નિયુક્તિ કરાઈ છે અને પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી રિતુરાજ સિંહને કો-ઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે.

આ તમામ નિયુક્તિનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે સંખ્યાબંધ વરિષ્ઠ નેતાઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓ સંગઠનમાં હાલમાં કોઇ હોદ્દો ધરાવતા ન હતા.

પાત્રાના જેટલા મોટા કદના બીજા કેટલાંક નેતાઓને પણ પાર્ટીમાં બઢતી મળી છે. રૂપાણીને પંજાબ અને હરિયાણાના પ્રભારી બનાવામાં આવ્યા છે. આ ઉપરાંત બિપ્લવ દેબને હરિયાણાના અને જાવડેકરને કેરળના પ્રભારી બનાવાયા છે.

જોગાનુજોગ ગુજરાત અને ત્રિપુરા બંને રાજ્યોમાં ટૂંકસમયમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે તથા રૂપાણી અને દેબને નવી જવાબદારી આપવાનો પાર્ટીનો આ નિર્ણય મહત્ત્વનો છે. ભાજપ આ નેતાઓના ગૃહ રાજ્યમાં કોઇ ગરબડ ન થાય તેવું ઇચ્છતો હોય તેમ લાગે છે.

પક્ષના વરિષ્ઠ નેતા અને ચૂંટણી સમિતિના સભ્ય ઓમ માથુરને છત્તીસગઢના પ્રભારીનું કામ સોંપવામાં આવ્યું છે. છત્તીસગઢમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ઓમ માથુરને રાજકારણના મોટા ખેલાડી માનવામાં આવે છે.

બીજી તરફ ઉત્તરપ્રદેશમાં ભાજપના પૂર્વ પ્રમુખ લક્ષ્મીકાંત બાજપેઈ ઝારખંડમાં પક્ષનો હવાલો સંભાળશે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને સાંસદ મહેશ શર્માને ત્રિપુરાનો હવાલો સોંપવામાં આવ્યો છે. બીજા સાંસદ વિનોદ સોનકર બે કેન્દ્રીશાસિત પ્રદેશ દાદરા-નગર-હવેલી અને દમણ દીવનો હવાલો સંભાળશે.

તાજેતરમાં રાજ્યસભામાં ચૂંટાયેલી ભાજપના સભ્ય રાધા મોહનને લક્ષદીપના પ્રભારી બનાવામાં આવ્યા છે. ભાજપના મહામંત્રી અરુણ સિંહ રાજસ્થાનના સહ-પ્રભારી તરીકે તથા પી મુરલીધર રાવ મધ્યપ્રદેશના સહ-પ્રભારી તરીકે ચાલુ રહેશે.

પાર્ટીએ કેટલાંક નવા સહ-પ્રભારી પણ બનાવ્યા છે. મહામંત્રી નરિન્દર સિંહ રૈનાને પંજાબના, અરવિદ મેમણને તેલંગણા, આશા લાખરાને પશ્ચિમબંગાળના સહ-પ્રભારી બનાવાયા છે. પાર્ટીના નેશનલ સેક્રેટરી પંકજા મુંડે અને રાધા શંકર કથેરિયા મધ્યપ્રદેશના સહ-પ્રભારી તરીકે ચાલુ રહેશે. નીતિન નબીન પણ છત્તીસગઢના સહપ્રભારીની કામગીરી ચાલુ રાખશે.

LEAVE A REPLY

2 − two =