Jaishankar
(ANI Photo/Dr. S. Jaishankar Twitter)

યુક્રેનના કેટલાંક પ્રદેશોના રશિયામાં વિલીન કરવાના નિર્ણયની નિંદા કરતા ઠરાવ પર યુએન જનરલ એસેમ્બલીમાં નિર્ણાયક મતદાન પહેલાં વિદેશ પ્રધાન એસ જયશંકરે મોસ્કો સાથે નવી દિલ્હીના સંબંધોનો બચાવ કરતા કહ્યું હતું કે લાંબા સમયથી ચાલતા સંબંધો ભારતના હિતમાં રહ્યાં છે. જયશંકરે પશ્ચિમી દેશોને એ પણ યાદ અપાવ્યું હતું કે, રશિયાથી વિપરીત, પશ્ચિમી દેશોએ ભૂતકાળમાં ભારતને શસ્ત્રો પૂરા પાડ્યા ન હતા અને તેના બદલે તેના પડોશમાં લશ્કરી સરમુખત્યારશાહીનો સાથ આપવાનું પસંદ કર્યું હતું.

જયશંકરે રશિયા સાથેના ભારતના સંબંધો અંગે પશ્ચિમી દેશોના ભારત પ્રત્યેના વલણની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે જ્યારે પશ્ચિમી દેશો ભારતને શસ્ત્રો નહીં આપવાનું વલણ ધરાવતાં હતાં ત્યારે રશિયાએ ભારતને જરૂરી શસ્ત્રો ઉપલબ્ધ બનાવ્યાં હતાં. પાકિસ્તાનનો આડકતરો ઉલ્લેખ કરતાં જયશંકરે કહ્યું હતું કે પશ્ચિમના દેશોને સૈન્ય શાસન વધુ વહાલું હતું, જેને કારણે તેઓએ વર્ષો સુધી ભારતની અવગણના કરી હતી. અમારી પાસે વિપુલ પ્રમાણમાં રશિયન શસ્રો હોવા માટે પશ્ચિમી રાષ્ટ્રોની નીતિ જ જવાબદાર છે.

ઓસ્ટ્રેલિયન વિદેશ પ્રધાન સાથેની બેઠકમાં જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂના સંબંધો છે અને તેનાથી ભારતના હિતોનું રક્ષણ થયું છે. રશિયાના શસ્ત્રો પરનો આધાર ઘટાડી તેની સાથેના સંબંધો અંગે પુનઃવિચાર કરવા અંગેના એક પ્રશ્નના ઉત્તરમાં જયશંકરે સ્પષ્ટ જવાબ આપતાં જણાવ્યું હતું કે અમારી પાસે રશિયન શસ્ત્રો મબલખ માત્રામાં છે.

LEAVE A REPLY

eight − 4 =