સુપ્રીમ કોર્ટે શેરબજાર માટે નિયમનકારી માળખાને મજબૂત કરવા નિષ્ણાતોની પેનલ બનાવવા અંગે સીલબંધ કવરમાં કેન્દ્ર સરકારના સૂચનો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે તે રોકાણકારોના હિતમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવા માગે છે.
ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ તથા જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જે બી પારડીવાલાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે તે સીલબંધ કવરમાં કેન્દ્ર સરકારના સૂચનને સ્વીકારશે નહીં. અમે સીલબંધ કવરમાં તમારા સૂચનને સ્વીકારીશું નહીં, કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગીએ છીએ.
10 ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે અદાણી ગ્રૂપના શેરોમાં ભારે ધોવાણને પગલે બજારમાં ઊભી થયેલી અસ્થિરતા સામે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે નિયમનકારી માળખાને મજબૂત બનાવવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશની આગેવાની હેઠળ ડોમેન નિષ્ણાતોની એક પેનલ બનાવવાની વિચારણા કરવા કેન્દ્રને સૂચન કર્યું હતું.
અદાણી-હિન્ડનબર્ગ વિવાદને પગલે સર્વોચ્ચ અદાલતમાં અત્યાર સુધી જાહેર હિતની જાહેર અરજીઓ થઈ છે. તેમાં એડવોકેટ એમ એલ શર્મા અને વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સામાજિક કાર્યકર્તા મુકેશ કુમારની પીઆઈએલનો સમાવેશ થાય છે. હિન્ડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપ સામેના ફ્રોડ અને શેરના ભાવમાં ચેડાના આક્ષેપોને પગલે શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરોના ભાવમાં ભારે ધોવાણ થયું હતું.
અદાણી ગ્રૂપે આ આક્ષેપોને જૂઠાણા ગણાવીને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તે તમામ કાયદાઓ અને જાહેરાતની જરૂરિયાતોનું પાલન કરે છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)