
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું. અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ પછી ગણતરીની મિનિટોમાં જ આ વિમાન ક્રેશ થયું હતું અને આગના ગોળામાં ફેરવાયું ગયું હતું. દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં. આગને કાબુમાં લેવા માટે ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા હતા.
આ દુર્ઘટનાગ્રસ્ત એર ઈન્ડિયાની ફ્લાઇટ AI 171માં 169 ભારતીયો, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સવાર હતાં. ડીજીસીએના જણાવ્યા અનુસાર, અમદાવાદ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં 232 મુસાફરો અને 10 ક્રૂ સભ્યો હતા.
ક્રેશના વીડિયો પરથી દેખાય છે કે મોટાપાયે જાનહાની શક્યતા છે. જોકે જાનહાની અંગે હજુ કોઇ સત્તાવાર માહિતી મળી શકી નથી.
એર ઇન્ડિયાએ X પર પોસ્ટ કર્યું હતું કે અમદાવાદ-લંડન ગેટવિક ઉડાન ભરતી ફ્લાઇટ AI171, આજે 12 જૂન 2025ની આ દુર્ઘટનમાં સામેલ હતું. હાલમાં અમે વિગતો મેળવી રહ્યાં છે. વહેલી તકે http://airindia.com અને અમારા X હેન્ડલ પર વધુ અપડેટ્સ શેર કરીશું.
મીડિયા રીપોર્ટ મુજબ મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ત્રણ ગાડી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
