ભારતની સુપ્રીમ કોર્ટે આર્ય સમાજ દ્વારા આપવામાં આવતા લગ્નના પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઈનકાર કર્યો છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે જણાવ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકાર ક્ષેત્ર લગ્નના પ્રમાણપત્ર આપવાનું નથી. વિવાહ પ્રમાણપત્ર જાહેર કરવાનું કામ સક્ષમ ઓથોરિટી જ કરે છે, કોર્ટ સામે અસલી પ્રમાણપત્ર પ્રસ્તુત કરવામાં આવે.
પ્રેમ લગ્ન અંગેના એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ પ્રકારનો આદેશ આપ્યો હતો. યુવતીના પરિવારજનોએ તેને સગીર ગણાવીને પોતાની પુત્રીના અપહરણ અને દુષ્કર્મ મામલે FIR દાખલ કરાવી હતી. યુવતીના પરિવારજનોએ યુવક વિરૂદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો.
આ કેસમાં યુવકના કહેવા પ્રમાણે યુવતી પુખ્ત ઉંમરની જ છે અને તેણે પોતાની મરજીથી તથા અધિકારપૂર્વક લગ્નનો નિર્ણય લીધેલો છે. તેમના લગ્ન આર્ય સમાજ મંદિરમાં થયા છે. યુવકે તેનો પુરાવો રજૂ કરવા માટે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિ સભા તરફથી આપવામાં આવેલું લગ્નનું પ્રમાણપત્ર પણ દર્શાવ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટે તેનો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં એપ્રિલ મહિનામાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવા માટે સહમતિ દર્શાવી હતી. તે સમયે જસ્ટિસ કે. એમ. જોસેફ અને જસ્ટિસ ઋષિકેશ રોયે આર્ય પ્રતિનિધિ સભાને એક મહિનાની અંદર સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 5, 6, 7 અને 8ની જોગવાઈઓને પોતાની ગાઈડલાઈનમાં નિયમન અંતર્ગત સામેલ કરવા જણાવ્યું હતું.