ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રવિવાર, ૧૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા પાસે આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો સાથે સુશાસનના શપથ લીધા હતાં. (PTI Photo)

ભાજપે 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બુધવાર, 15 એપ્રિલે રાજ્યની ત્રણ મ્યુનિસિપાલિટી બિનહરીફ કબજે કરી કરી હતી. વિપક્ષના ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધાં હતાં અથવા તેમના ઉમેદવારીપત્રો રદ થયા હતાં. આ ત્રણ નગરપાલિકામાં કડી, ઊંઝા અને ગણદેવીનો સમાવેશ થાય છે. હાલમાં પણ ત્રણેય નગરપાલિકામાં ભાજપનું શાસન છે.

મહેસાણા જિલ્લાની ઊંઝા નગરપાલિકામાં ભગવા પક્ષે ચૂંટણી પહેલા બહુમતીનો આંકડો પાર કર્યો હતો. શહેરની 9 વોર્ડની 36માંથી 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ બન્યાં હતાં. બાકીની 14 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન થશે. 15 એપ્રિલે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ચૂંટણી અધિકારી બિરેન પટેલે જણાવ્યું હતું કે બુધવાર સુધીમાં ૧૪ ઉમેદવારીપત્રો પાછા ખેંચવામાં આવ્યા હતા, જ્યારે ચકાસણી દરમિયાન ૪૪ ફોર્મ નામંજૂર કરવામાં આવ્યાં હતાં.

મહેસાણાની કડી નગરપાલિકામાં, અપક્ષો અને અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ ભાજપે 36માંથી 28 બેઠકો પર બિનહરીફ જીત મેળવી હતી. રાજ્ય ચૂંટણી પંચના ડેટા મુજબ, 23 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા જ્યારે 5 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતાં.

નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકામાં, કોંગ્રેસના 16 ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યા હતાં. ગણદેવીમાં છ વોર્ડમાં કુલ 24 બેઠકો છે. એક ઉમેદવારીએ ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યાં હતાં .કુલ ૨૪ બેઠકોમાંથી ૨૨ બેઠકો બિનહરીફ બની હતી.