કોરોના મહામારી દરમિયાન પણ ગુજરાતમાં લાંચ રુશવતના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ વર્ષ 2021માં ભ્રષ્ટાચારના 173 કેસ સાથે 287 લાંચિયા આરોપીને ઝડપી લીધા હતા. આ આરોપીમાં 10 ક્લાસ વન અધિકારીનો પણ સમાવેશ થાય છે. એસીબીએ ગયા વર્ષ દરમિયાન 3939 અરજીઓનો નિકાલ કર્યો હતો અને 318 કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. ACBની હેલ્પલાઈ 1064 પર લોકો ફરિયાદ કરતા થાય તે માટે ખાસ અભિયાન ચાલુ કર્યું હતું. પરંતુ વર્ષ દરમિયાન હેલ્પલાઈન પર માત્ર 116 ફરિયાદો જ મળી અને તે પૈકી 25 કેસમાં જ ટ્રેપ સફળ થઈ હતી.

2021માં ACB દ્વારા અમદાવાદ રેન્જના આર.આર. સેલના પોલીસ કર્મચારી પ્રકાશસિંહ રાઓલને રૂ.50 લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો, જે ગુજરાત એસીબીની સૌથી મોટી રકમની લાંચનો કેસ છે. આ ઘટના બાદ રાજ્યના તમામ રેન્જી આઈજી દ્વારા પોતાના આર આર સેલનું વિસર્જન કરી દેવાનો ડીજીપી દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગાંધીનગર એસીબીની ટીમે સર્વશિક્ષા અભિયાનના ક્લાસ-2 અધિકારી એન ચંદ્રવદન ચોકસીના રિમાન્ડ દરમિયાન તેમના લોકર સર્ચ કરતા તેમાંથી 2.27 કરોડ રોકડ મળી આવ્યા હતા. જે ACBના ઈતિહાસની સૌથી મોટી રકમ હોવાનું સામે આવ્યું છે.